સુરતના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માના ત્યાં જ ઇન્કમટેક્સની રેડ પડી છે. આઇટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે પોતાની મેળે તપાસ ચાલુ રાખી હતી.
આ દરમિયાન કલામંદિર જ્વેલર્સ સામેનો વિવાદ વધુ ઘેરાયો હતો અને ગઈ કાલે મોડી સાંજે ઈન્કમટેક્સના અધિકારીઓએ પીવીએસ શર્માના પીપલોદ સિટી જિમખાના સામે આવેલા ફોર સિઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. ઇન્કમટેક્સ અધિકારીઓએ તેમનો ફોન પણ લઇ લેતાં તેઓ પોતાના ઘર નીચે રસ્તા પર બેસી ધરણાં કરી રહ્યા છે.
આ તપાસમાં સુરતની ટીમને બાકાત રખાઈ છે. ગઈ કાલે પીવીએસ શર્માના ટ્વિટને લઇ કલામંદિરના સંચાલક મિલન શાહે ચોરેલા ડોક્યુમેન્ટ ટ્વિટર પર મુકાયાની સ્પષ્ટતા કરતાં દિવસભર આ વિવાદ ચર્ચામાં રહ્યો છે.
આ બાબતે શર્માએ ફરી ખુલાસો કર્યો છે કે નોટબંધીની રાિત્રએ શહેરના જ્વેલર્સ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું તેની તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવે તે અંગેનું ટ્વિટ મેં કર્યું છે. તે સમયે કોઈ જ્વેલર્સ કે કંપનીના નામનો ઉલ્લેખ કર્યો નથી. હું મિલન શાહને ઓળખતો નથી. રૂ. ૧૬૭ કરોડ ટેક્સ ભરવાની નોબત આવતાં તેઓ ગભરાયા છે.
જ્વેલર્સ અને કેટલાક ભ્રષ્ટ આવકવેરા અધિકારી મારી પાછળ પડ્યા છે. મને ધમકીઓ મળી રહી છે, પરંતુ હું ગભરાવાનો નથી. મારો રૂ. ૧૦ કરોડની કિંમતનો ફ્લેટ હોય તો તેઓ તેને લઈ લે અને સામે તેમનાં પાંચ મકાન મને આપી દે. આવનારા સમયમાં નોટબંધી દરમિયાન જે અનેક કૌભાંડ થયાં છે એની પણ વિગતો તૈયાર કરી રહ્યો છું, જે આવનારા સમયમાં હું જાહેર કરીશ.