નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જજ ચેલમેશ્વર આજે રિટાયર થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચર્ચાઓથી ભરેલા કાર્યકાર બાદ આજે જસ્ટીસ જે. ચેલમેશ્વર સેવાનિવૃત્ત થશે. નિવૃત્તિ પહેલા જ જજ ચેલમેશ્વરે પોતાનું સરકારી આવાસ ખાલી કરી નાખ્યું છે. હૈદરબાદ જવાની તૈયારી કરી લીધી છે.
નિયમ અનુસાર સેવાનિવૃત્ત થયા બાદ એક મહિના સુધી જજ પોતાના સરકારી આવાસમાં રહી શકે છે. પરંતુ જસ્ટીસ ચેલમેશ્વરે પહેલા જ કહી દીધું હતું કે તે નિવૃત્ત થયા બાદ કોઈ સરકાર પાસેથી કોઈ નિયુક્તિ નહીં લે.
મહત્વનું છે કે જસ્ટીસ ચેલમેશ્વર મુખ્ય ન્યાયાધિશ વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરીને ચર્ચામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કામકાજમાં પારદર્શિતા લાવવા મામલે પણ તે જાણીતા છે. એટલું જ નહીં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિ માટે બનેલા કોલેજિયમના નિર્ણયો તથા ચર્ચાઓને સાર્વજનિક કરવામાં પણ તેમનો મહત્વનો રોલ રહેલો છે. જસ્ટીસ ચેલમેશ્વરનો જજની રૂપમાં પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે કામ કર્યા બાદ તે 2007માં ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા હતા. કેરળ હાઈકોર્ટમાં પણ તે મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. 2011માં તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી.