કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી રવિવારે મોડી રાતે સુપ્રીમ કોર્ટમાં રસીકરણ અને કોરોના મેનેજમેન્ટ પર સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ છે. લગભગ 218 પેજના આ સોગંદનામામાં કેન્દ્ર દ્વારે કોવિડ સ્થિતિ, તેને પહોંચી વળવાના પ્લાન અને રસીકરણ ઉપરાંત તે તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે જે સર્વોચ્ચ કોર્ટે પુછ્યા હતા.
આરટી પીસીઆર રિપોર્ટમાં રાજ્ય અથવા શહેર જેવી કોઈ મર્યાદા નથી
કેન્દ્ર તરફથી જાણકારી આપવામાં આવી છે કે દેશમાં કોઈ પણ કોવિડ દર્દી કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. એટલા માટે આરટી પીસીઆર રિપોર્ટ માટે રાજ્ય અથવા શહેર જેવી કોઈ મર્યાદા નથી. સાથે સ્થિતિને જોતા કોવિડ કેર સેન્ટર, બેડ્સ, સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા વધારવામાં આવી છે. મેડિકલ વિદ્યાર્થીઓને આ કામમાં લગાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યુ છે કે 100 દિવસ સુધી કોવિડનું કામ કરવા માટે સ્વાસ્થ્ય કર્મીઓને આર્થિક રુપે ઈન્સેન્ટિવ આપવાની પહેલ પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર સીધા રસી ઉત્પાદકો પાસેથી રસી લઈ શકે
દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યુ છે. કેન્દ્રએ તેની જાણકારી આપી છે કે તેના ઉત્પાદનની સાથે સાથે તેની ઉપલબ્ધતા પર ભાર મુક્યો છે. હવે 18થી વધારે ઉંમરના લોકોના રસીકરણની પરવાનગી આપવામાં આવી છે. સાથે હવે રાજ્ય સરકાર સીધા રસી ઉત્પાદકો પાસેથી રસી લઈ શકે છે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં રસીની કિંમત પર વાત કરી છે. સરકારે કહ્યુ કે રસી ઉત્પાદકોની સાથે વાત કરી એ નક્કી કરવામાં આવ્યુ છે કે તમામ રાજ્યોને સમાન દર પર રસી મળશે. પરંતુ કેન્દ્રને સસ્તી રસી આપવા પાછળનું કારણ એ જણાવવામાં આવ્યુ કે કેન્દ્રે મોટા ઓર્ડર અને પૈસા કંપનીને આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે રસીના અલગ -અલગ ભાવને લઈને પહેલા પણ વિવાદ થયો હતો. એ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. જેનો જવાબ કેન્દ્ર સરકારે આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે કોવિડ મેનેજમેન્ટને લઈને સુનવણી થવાની છે.