દિગ્ગજ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી આર્થિક કટોકટી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ટૂંક સમય પહેલા જ તેમણે કોરોના વાયરસ મુદ્દે રાહત પેકેજ જાહેર કરવાની વાત કરી હતી જ્યારે હવે ફરીએકવાર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શું દેશમાં આર્થિક કટોકટીની જાહેરાત કરી દેવી જોઈએ? સરકારે પોતે સામે આવીને આશંકાઓ દૂર કરવી જોઈએ.
સુબ્રમણ્યમ સ્વામીએ ઉભો કર્યો સવાલ
સરકારને સામે આવી આશંકાઓ દૂર કરવા કહ્યું
પીએમ મોદીને પત્ર લખીને રાહત પેકેજની જાહેરાત કરવા કહ્યું
દેશમાં કોરોના વાયરસ પગપેસારો કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કર્ફ્યું કરવાની વિનંતી કરી છે. વિવિધ બિઝનેસ ઠપ થઇ જવાથી દેશનાં અર્થતંત્રને પણ ફટકો પડવાની ભીતિ છે, એવામાં ભાજપ સાંસદ અને દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉભો કર્યો છે કે દેશમાં આર્થિક કટોકટી જાહેર કરવી જોઈએ કે નહીં અને તે મુદ્દે સરકારે પોતે જ બધી આશંકાઓને દૂર કરવી જોઈએ. સ્વામીના નિવેદનમાં રાજનીતિક ચર્ચાઓ વધી ગઈ છે.
ભાજપ સાંસદ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 17 દેશો અને 2 આંતરરાષ્ટ્રીય બેંકની જોગવાઈ મુજબ કોરોના વાયરસનાં આ સ્ટેજમાં રાહત પેકેજની જાહેરાત કરવાની જરૂર છે. તેમણે પત્રમાં અમેરિકાનો ઉલ્લેખ કરતા લખ્યું કે અમેરિકાએ એક ટ્રીલીયન ડોલરનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકામાં કરોડપતિઓ અને અબજપતિઓને છોડીને બધાને 1000 ડોલરની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાયરસનાં કારણે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે તથા રવિવારનાં દિવસે જનતા કર્ફ્યુંનું પાલન પણ અપીલ કરવામાં આવી છે.