વજન ઉતારવા જે લોકો સવારે પરસેવો પાડી રહ્યા છે તેઓ બ્રેકફાસ્ટ પહેલા એકસર્સાઇઝ કરે તો ચરબી બમણી ઝડપે ઓગળે છે તેવું એક નવા સંશોધનમાં બહાર આવ્યું છે. ક્લિનિકલ એન્ડ્રોક્રાઇનોલોજી એન્ડ મેટાબોલિઝમ જર્નલમાં પબ્લિશ સંશોધન અનુસાર બર્મિંગહામ અને બાથ યુનિવર્સિટીના સંશોધકોએ ઓવરવેઇટ લોકોને ત્રણ ગ્રુપમાં વહેંચી નાખ્યા હતા.
સંશોધન : બ્રેકફાસ્ટ પહેલા એકસર્સાઇઝ કરાય તો ચરબી બમણી ઝડપે ઓગળે છે
શરીર સામાન્ય રીતે પહેલા કાર્બોહાઇડ્રેટસના સ્વરુપે જમા કેલેરીને ઉર્જા તરીકે વાપરે છે
બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટિશનો ખતરો ઘટે છે
જેમાં એક ગ્રુપને બ્રેકફાસ્ટ કરીને અને બીજા ગ્રુપને બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાનું કહ્યું. જયારે ત્રીજા ગ્રુપને તેમની રોજિંદી જિંદગી જેમ જીવતા હોય તેમ જીવવા કહેવાયું હતું. પહેલા અને બીજા નંબરના ગ્રુપના લોકોને એક સરખી 60 મિનિટ સાયકલિંગની એકસર્સાઇઝ કરવાનું કહેવાયું. છ અઠવાડિયા પછી સંશોધકોએ નોંધ્યું કે બ્રેકફાસ્ટ કર્યા વિના સાયકલિંગ કરનાર ગ્રુપના લોકોના શરીરની ચરબી બ્રેકફાસ્ટ કરીને સાયકલિંગ કરનાર લોકો કરતા બે ગણી વધુ બળી હતી.
શરીર સામાન્ય રીતે પહેલા કાર્બોહાઇડ્રેટસના સ્વરુપે જમા કેલેરીને ઉર્જા તરીકે વાપરે છે. બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરતાં લોકોમાં કાર્બોહાઇડ્રેટસ પુરતા પ્રમાણમાં ન મળતા શરીર ફેટ એટલે કે ચરબીને બાળીને ઉર્જા મેળવે છે. સંશોધકોના મતે બ્રેકફાસ્ટ કર્યા વિના એકસર્સાઇઝ કરવાના અન્ય પણ કેટલાક ફાયદા છે. તેનાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટિશ થવાનો ખતરો પણ નોંધપાત્ર રીતે ઘટે છે.
બ્રેકફાસ્ટ પહેલાની એકસર્સાઇઝથી ઇન્સ્યુલિનની કામગીરી વધુ સારી રીતે થાય છે, જેના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ મળે છે. જયારે બ્રેકફાસ્ટ બાદ એકસર્સાઇઝ કરનારા લોકોમાં ઇન્સ્યુલિનની કામગીરી એકસર્સાઇઝ નહીં કરનારા લોકો જેવી સામાન્ય જણાઇ હતી.
સંશોધકો કહે છે કે એ તમે કયારે ખાવ છે અને કયારે એકસર્સાઇઝ કરો છો તેની તમારા આરોગ્ય પર ઘણી અસર પડે છે.ખાસ કરીને જેમને વજન ઘટાડવું છે તેમણે સવારની એકસર્સાઇઝ કંઇ પણ ખાધા વિના કરવી જોઇએ.