કરજણ રેપ કેસમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારની મુલાકાત ન લેવા બદલ ભાજપના સ્થાનિક ધારાસભ્યને આડે હાથ લીધા હતા, આ નિવેદનને નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
વડોદરાના કરજણમાં મહિલા પર દુષ્કર્મની ઘટના
અલ્પેશ ઠાકોર અને MLA અક્ષય પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન
વડોદરા જિલ્લાના કરજણમાં મહિલા સાથે સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે. જે મામલે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પીડિત પરિવારની મુલાકાત ન લેવા બદલ ભાજપના સ્થાનિક ધારાસભ્યને આડે હાથ લીધા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરના આ નિવેદનને નાયબ મુખ્યમંત્રીએ અલ્પેશ ઠાકોરની અંગત લાગણી ગણાવી છે. સાથે જ દરેક સ્થાનિક નેતાઓએ આ પ્રકારના કેસમા પીડિત પરિવારની મુલાકાત કરવી જોઈએ. તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમજ મૃતક પીડિતા સાથે થયેલા દુષ્કર્મની નિંદા કરીને સમગ્ર ઘટના શર્મનાક ગણાવી હતી.
શું છે સમગ્ર મામલો
વડોદરામાં પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ બાદ ગળેટુંપો દઈ હત્યા કરી દેવામાં આવી હતી. જે મામલે 6 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસ કાર્યવાહીની સાથે પીડિત પરિવારજનોને ન્યાય અપાવવાનની રેસમાં ભાજપના બે નેતાઓ આમને સામે આવ્યા હતા. અને એક બીજા પર આક્ષેપ પતિઆક્ષેપ લગાવ્યા હતા.
સામુહિક દુષ્કર્મ અને હત્યા મુદ્દે ભાજપના બે નેતા આમનેસામને
વડોદરાના દેથાણમાં સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને સ્થાનિક MLA અક્ષય પટેલ આમને સામને આવતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનિક MLAએ પરિવાર સાથે રહેવા મામલે અલ્પેશે MLA પર સવાલ ઉઠાવ્યા હતા. તો અલ્પેશ ઠાકોરના નિવેદન પર MLA અક્ષય પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, રાજકારણમાં હું તમામ સમાજની સેવા કરવા આવ્યો છું, સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથી.
અલ્પેશ ઠાકોરના નિવેદન પર MLA અક્ષય પટેલની પ્રતિક્રિયા
ઉલ્લેખનિય છે કે ,ઘટના બન્યા બાદ પોલીસની કાર્યવાહીમાં વિલંબ થતા તમામ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અક્ષય પટેલે જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારથી જ પરિવારના સંપર્કમાં છું, પોસ્ટ મોર્ટમ વખતે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં અમે સ્થાનિક પોલીસે પણ વાત કરી હતી. અને એક જ દિવસમાં આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથી, જો કહ્યું હોય તો અલ્પેશ ઠાકોર સાબિત કરી બતાવે તેમ ધારાસભ્ય અક્ષય પટેલ અલ્પેશ ઠાકોરને સાબિત કરી બતાવવા કહ્યું છે.
વડોદરાના દેથાણમાં સામુહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો
મહત્વનું છે કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. એલસીબી અને એસઓજીએ ગણતરીના કલાકોમાં 6 નરાધમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીની પૂછપરછ કર્યા બાદ મૂળ ફરિયાદમાં સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલું જણાતાં બંનેની કલમનો ઉમેરો કર્યો હતો. તમામ આરોપીઓને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. આ ઉપરાંત આરોપીઓના કપડા અને મોબાઇલ કબજે કર્યાં હતાં. જો કે 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી હવે રીમાન્ડની માંગ કરવામાં આવનાર છે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.