જગદીશ ઠાકોરનું OBC સંમેલનમાં સંબોધન, કહ્યું ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાનો અને કોમી થશે
અમદાવાદમાં કોંગ્રેસનુ OBC સંમેલન
હવે કોળી અને દરબારો વચ્ચે બબાલો થશેઃ જગદીશ ઠાકોર
એક તરફ અજાન બીજી તરફ ઝાલર વગાડાતી જ હતીઃ જગદીશ ઠાકોર
અમદાવાદમાં કોંગ્રેસનુ ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોરનું ઓબીસી સંમેલનમાં સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રેલવે, એરપોર્ટ વેચાયા હોવાથી બક્ષીપંચ અનામત બંધ કરવામાં આવી છે. પેપર ફોડનારને 2022 માં અમે ફોડી નાખીશુ. હવે કોળી અને દરબારો બચ્ચે બબાલો થશે.
ભાઈ તું તારા ઘર માં હનુમાન ચાલીસા વગાડને, કોણ ના પાડે છેઃ જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે એક તરફ અજાન બીજી તરફ ઝાલર વગાડાતી જ હતી. હવે અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહે છે. ભાઈ તું તારા ઘર માં હનુમાન ચાલીસા વગાડને, કોણ ના પાડે છે. ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાનો અને કોમી થશે. હનુમાન ચાલીસા વગાડવા માટે આપણા દીકરાઓને મોકલશે. મંત્રીઓના દીકરાઓ તો વિદેશમાં ભણવા ગયા છે. વસ્તી પ્રમાણે સરકારી નોકરીમાં ભાગીદારી લાવવા કોંગ્રેસ માંગે છે
જગદીશ ઠાકોરની જીભ લપસી મંદિરમાં અજાન થતી હોવાનું બોલ્યા
તો બીજી તરફ કોંગ્રેસના OBC સંમેલન જગદીશ ઠાકોરની જીભ પણ લપસી હતી. મંદિરમાં અજાન થાય મુસ્લિમો અલ્લાતાલાની બંદગી કરે તેવુ કહ્યું હતું. અજાન મંદિરમાં નહીં મસ્જિદમાં કરવામાં આવે છે ત્યારે જગદીશ ઠાકોરે ઉતાવળે મસ્જિદની જગ્યાએ મંદિરમાં અજાન બોલ્યા હતા.
કોંગ્રેસનું OBC સંમેલન
વિધાનસભા ચૂંટણીમાં તમામ સમાજોને સાથે જોડવા માટે રાજકીય પાર્ટીઓ અલગ-અલગ સમાજના સંમેલનો કરી રહી છે.. પહેલા આદિવાસી વિસ્તારોમાં રાજકીય કાર્યક્રમો કર્યા બાદ હવે કોંગ્રેસે ઓબીસી સમાજ તરફ નજર દોડાવી છે.. અમદાવાદના વટામણ માં ઓબીસી સંમેલન યોજી કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ.. કોંગ્રેસે આ એટલા માટે શરૂ કર્યું છે કારણ કે રાજ્યમાં સૌથી વધુ 52 ટકા મતદાતાઓ ઓબીસી સમાજના છે.
"OBC સમાજને ભાજપ સરકારથી અન્યાય"
રાજ્યની 146 જ્ઞાતીઓ અને કુલ મતદાતાઓ પૈકી 52 ટકા મતદાતાઓ જે સમાજમાંથી આવે છે તે ઓબીસી સમાજને કોંગ્રેસ સાથે જોડવા કોંગ્રેસે ઓબીસી સંમેલનોની શરૂઆત કરી છે.અમદાવાદ જિલ્લાના વટામણ ખાતે કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાયું.રાષ્ટ્રીય કોંગ્રેસ ઓબીસી ના ચેરમેન અજય યાદવ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત રાજ્યના ઓબીસી નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજને આપેલ આરક્ષણ અને અધિકારોની વાત કરતા હાલની ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજ સાથે અન્યાય કરી રહી હોવાનો દાવો કરાયો. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે રાજ્યનું બે લાખ કરોડ કરતાં પણ વધારે બજેટ છે. જેનું એક ટકા જેટલું બજેટ પણ ઓબીસી સમાજ માટે ફાળવવામાં નથી આવતું.. સરકાર 52 ટકા વસ્તી સામે 27 ટકા અનામત આપે છે તો કમ સે કમ 27 ટકા બજેટ તો ફળવવું જ જોઈએ.
કોંગ્રેસે રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન
રાજ્યના બજેટ સમયે પણ કોંગ્રેસે આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરીવાર ઓબીસી સમાજને ભાજપ સરકારથી અન્યાય નો રાગ આલાપ્યો છે.. આ સિવાય 2011 માં યુપીએ સરકાર સમયે થયેલ જાતિ આધારિત જન ગણના જાહેર કરી અને 2021 ની વસ્તી ગણતરી પણ જાતિ આધારિત થવી જોઈએ. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થશે તો ગરીબ સમાજને તેનો લાભ મળશેકોંગ્રેસની ચિંતન સિબિર માં પણ આ જ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજય યાદવે જણાવ્યું.રાજ્યમાં સૌથી વધુ મતદાતાઓ ઓબીસી સમાજના છે ત્યારે આ સમાજો ને કોંગ્રેસ સાથે જોડવાના પ્રયત્નો કોંગ્રેસે શરૂ કરી દીધા છે.અને આજ કારણ છે કે કોંગ્રેસ રાજ્યમાં જેની જેટલી વસ્તી એના એટલા અધિકાર અને દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ની તરફેણ કરી રહ્યું છે.