રાજકોટમાં દેવાયત ખવડ દ્વારા યુવક પર હુમલાનો મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન છે
રાજકોટમાં દેવાયત ખવડ દ્વારા યુવક પર હુમલાનો મામલો
ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇનું નિવેદન
સોશિયલ મિડીયા એકાઉન્ટ, મોબાઇલ નંબર પર નજર છેઃ DCP
તાજેતરમાં રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.
દેવાયત ખવડને પકડવા માટેના ચક્રો ગતિમાન છેઃ DCP
DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
તેની સાથે સંકળાયેલા લોકોના પણ નિવેદન લેવાયા છેઃ DCP
તેઓએ જણાવ્યું કે, આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં આ કેસ ઝડપથી ઉકેલાય જાય તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.
ધરપકડ નહીં થાય તો સત્યાગ્રહ પર ઉતરીશુંઃ ક્ષત્રિય સમાજના આગેવાન
પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો થયાના 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી નથી. આજે અમે બીજી વખત આવેદન આપવા માટે પહોંચ્યા છીએ. જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું.
પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા ક્ષત્રિય સમાજના આગેવાનો
મહત્વનું છે કે, રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી નથી. દેવાયત ખવડની ધરપકડ ન થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા.