Punjab Election 2022 ના રણશિંગા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નવજોતસિંઘ સિદ્ધુએ પોતાના જ પક્ષ પર આડકતરા પ્રહાર કર્યા હતા. તો તેમની પત્નીએ સિદ્ધુને હીરો ગણાવ્યા હતા.
પંજાબમાં CM પદના ઉમેદવાર થશે જાહેર
નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્ની વચ્ચે ટક્કર
સિદ્ધુએ કહ્યું કોંગ્રેસમાં ઉપર બેઠેલા લોકોને નબળા CM જોઈએ છે
કોંગ્રેસ જાહેર કરશે CM પદના ઉમેદવાર
પંજાબમાં જોરદાર ચૂંટણી જંગ જમવાનો છે. ચૂંટણીના બ્યૂગલ વાગવા શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ ટૂંક સમયમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સીએમ ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સીએમ પદ માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્ની વચ્ચે જોરદાર ટક્કર છે. આ દરમિયાન નવજોત એસ સિદ્ધુના એક નિવેદનથી વાતાવરણ ગરમાયું છે. તેમણે કહ્યું હતું કે ઉપર બેઠેલા લોકો નબળા CM ઈચ્છે છે કે જે તેમના ઈશારે નાચે.
સમર્થકોને પૂછ્યું તમને નવા CM જોઈએ છે?
વાસ્તવમાં, નવજોત સિંહ સિદ્ધુએ તેમના સમર્થકોના નારાઓ વચ્ચે બોલતા કહ્યું, "રાજ્યને નવું અને સારું બનાવવું એ સીએમના હાથમાં છે. જો પંજાબને નવું બનાવવું હોય તો તે સીએમના હાથમાં છે. ઉપર બેઠેલા લોકોને નબળા સીએમ જોઈએ છે, જેઓ તેમના ઈશારે નાચે છે." સમર્થકોને સવાલ કરતા તેમણે પૂછ્યું કે, શું તમને આવા સીએમ જોઈએ છે?
નવજોત સિંહ સિદ્ધુ હીરો હતા અને હીરો જ રહેશે
નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કહ્યું છે કે 'નવજોત સિંહ સિદ્ધુ એક હીરો હતા અને તેઓ હીરો જ રહેશે, પછી ભલે કોઈ પણ સીએમ બને. માત્ર એટલું જ મહત્વનું છે કે જે પણ સીએમ બને, તે મંત્રીઓની વાત પણ સાંભળે, તેમની ફાઈલો પર સહી કરે છે અને તેમને સારી રીતે કામ કરવા દે.
પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું હતું કે, 'જો કેપ્ટન અમરિંદર સિંહે મંત્રીઓની વાત સાંભળી હોત તો કોઈને તેમની સાથે કોઈ સમસ્યા ન હોત. તેમણે કામ કરવું જોઈએ અને અન્ય પ્રધાનોનું સન્માન કરવું જોઈએ. નવજોત કૌરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સીએમ ચન્નીએ કહ્યું છે કે રાહુલ ગાંધી 6 ફેબ્રુઆરીએ સીએમ ચહેરાની જાહેરાત કરશે. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધી સાથે રહેશે. ચન્નીએ પોતાના વિધાનસભા ક્ષેત્ર ચમકૌર સાહિબમાં આ જાહેરાત કરી છે.