શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા વિવાદની પણ એક અલગ દુનિયા હોય છે. કેમ કે આ ઊંડી આસ્થાનો વિષય છે તેમાં ફેરફાર કરવાનો હક વ્યક્તિ પોતાના સિવાય બીજા કોઈને આપતો નથી. પરંતુ જ્યારે બદલાતા સમયમાં વ્યક્તિને પોતાના આસ્થા સ્થાનકમાં જ્યારે ફેરફાર કરવો પડે છે ત્યારે તેની લાગણી જરૂરથી ઘવાય છે. જો કે આવા વિવાદનું સમાધાન અંતે તો વ્યક્તિએ પોતે જ શોધવાનું હોય છે. ત્યારે આ શ્રદ્ધાનો વિવાદ જોઈએ અમારા આ અહેવાલમાં.
શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની જરૂર નથી. આ શ્રદ્ધા કોઈપણ દેવી-દેવતા પર પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિ પર પણ હોઈ શકે. અરે ત્યાં સુધી કે કોઈ સ્થળ કે જગા પર પણ હોઈ શકે. હવે સ્થળની જ વાત નીકળી છે તો આપણે યાત્રાધામ શામળાજીમાં ઊભા થયેલા એક વિવાદની વાત કરીએ...અરવલ્લીની ગરવી ગિરિમાળાની ગોદમાં સદીઓથી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહેલા આ શામળાજી મંદિરમાં દરરોજ યાત્રાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો રહેતો હોય છે.
શ્રદ્ધાળુઓ પોતાની શક્તિ અને ભક્તિ મુજબ ભગવાના શામળાની પૂજા અર્ચના કરતા હોય છે. કોઈ શ્રદ્ધાળુઓ સેવાઓ સાથે રાજભોગથી શામળિયાને મનવાતા હોય છે. તો કોઈ શ્રદ્ધાળુઓ શામળિયાને તુલસીદલ ચડાવે તો કોઈ મંદિર પર ધજા ચડાવીને શામળિયા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા હોય છે. આ બધી પૂજામાં ભગવાન વિષ્ણુની રાજોપચારી પૂજાનું અહીં ખૂબ મહાત્મ્ય છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા 100 વર્ષથી ભગવાન શામળાજીને સન્મુખ રહી રાજોપચારી મહાપૂજા કરવામાં આવતી હતી. આ પૂજા વર્ષો પહેલા શુકદેવજી મહારાજ દ્વારા શરૂ કરાવવામાં આવી હતી.
રાજોપચારી મહાપૂજા દરેક પખવાડિયાની વદ અને સુદ બારશના દિવસે કરવામાં આવતી હતી. જેમાં 7 ભૂદેવો દ્વારા સોલસોપચાર મંત્રો દ્વારા ઠાકોરજી સન્મુખ પૂજા કરવામાં આવતી હતી. આ પૂજા પાછળ ભક્તોની એવી માન્યતા હતી કે, ભગવાન સન્મુખ પૂજાથી શ્રદ્ધાળુમાં એક હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે સાથે-સાથે ઠાકોરજીના તેજમાં પણ વધારો થાય છે. પરંતુ હવે બદલાતા સમયમાં વ્યવસ્થાના ભાગ રૂપે મંદિરમાં ઠાકોરજી સન્મુખ પૂજા બંધ કરવામાં આવી છે અને તેના બદલે મંદિર બહાર બનાવેલી યજ્ઞશાળામાં કરાવવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે.
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપૂજાના સ્થળમાં ફેરફારના લેવાયેલા આ નવા નિર્ણય સામે હાલ તો આસ્થાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂજા કરાવતા ભક્તો સહિત નિયમિત પૂજા કરાવતા ભક્તોની આસ્થાને આ સ્થળ બદલાવ નિર્ણયને કારણે ઠેસ પહોંચી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા જાળવવાનાં નામે વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરવામાં આવતા હાલ આ મુદ્દો ભક્તો માટે ચર્ચાનું કેંદ્ર બન્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં ફેરફાર કરી ઠાકોરજી સન્મુખ પૂજા કરાવાય તેવું ભક્તો ઈચ્છી રહ્યાં છે.
આ આખો મુદ્દો આસ્થા વર્સિસ વ્યવસ્થાનો છે. બદલાતા સમયમાં દર્શનાર્થીઓના વધતા ધસારાની વ્યવસ્થાને પહોંચી વળવા મંદિર ટ્રસ્ટદ્વારા લેવાયેલો આ નિર્ણય તેમના પક્ષે યોગ્ય છે. પરંતુ સામે આસ્થા અને માન્યતા જેવો સંવેદનશીલ મુદ્દો છે ત્યારે શ્રદ્ધાળુઓની દલીલ પણ તેમની રીતે સાચી છે. પરંતુ જ્યારે વિરાટને પામવાની વાત હોય ત્યારે તેને સ્થળ કે કાળના બંધન નડતા નથી. આખરે ઈશ્વરનો સાક્ષાત્કાર `સ્વ'માંથી નીકળી સમષ્ટિમાં ભળીએ પછી જ થાય છે.