રાજ્યમાં આજે એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 બાળકોના મોત થયા છે. પંચમહાલમાં 2, વડોદરામાં 3 અને સુરતમાં 2 બાળકોના મોત થયા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. આ માનવભક્ષી દીપડાએ તાલુકાના જંગલ વિસ્તાર પાસે આવેલા ગામોમાં 3 બાળકો પર હુમલો કરી 2 બાળકોને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા વન વિભાગ દોડતું થયું છે. તો બીજી તરફ વડોદરાના કરજણમાં એક જ પરિવારના 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે સુરતમાં તાપી નદીમાં ડુબી જતા 2 બાળકોના મોત નિપજ્યા હતા.
એક જ દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 બાળકોના મોત
ઘોઘંબા તાલુકામાં દીપડાએ હુમલો કરતા 2 બાળકોના મોત
વડોદરાના કરજણમાં એક જ પરિવારના 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ
ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવી જંગલ વિસ્તાર માથી માનવ વસ્તી તરફ આવી બાળકો પર હુમલાઓ કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓના પગલે ઘોઘંબા પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્રણ દિવસ પહેલા પાલ્લા ગામે બાળક પર હુમલો કર્યા બાદ ૮મી ડિસેમ્બરે વહેલી સવારે કાટાવેડા ગામે બકરા ચરાવતા કિશોર પર આદમખોર દીપડાએ હુમલો કરી મારી નાખ્યો હતો. ત્યારબાદ મોડી સાંજે ખુંખાર દીપડાએ ગોયાસુડલ ગામે પાંચ વર્ષના બાળક ને તેની માતાના ખોળા માંથી ખેંચી જઈ હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં માનવ પક્ષી દીપડાના ત્રણ હુમલામાં બે બાળકોના મોત થતા જિલ્લા કલેકટર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
દીપડાને પકડવા માટે 40 વન કર્મચારીઓ દોડતા થયા
આ માનવભક્ષી દિપડાના વધુ હુમલાથી માનવ વસ્તીને બચાવવા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યા પર 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ 40 જેટલા વન કર્મચારીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે. જોકે ભય અને દહેશતની વચ્ચે દીપડાથી બચાવવા માટે લોકજાગૃતિ પણ વનવિભાગ કરી રહ્યું છે. તેમજ દીપડાનું લોકેશન મેળવવા તેમજ પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે દીપડો ક્યારે પકડાય છે.
વડોદરાના કરજણમાં એક જ પરિવારના 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ
વડોદરાના કરજણના કોળિયાદમાં 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. કોળીયાદ ગામના 3 બાળકો ગૂમ હતા. તેમની શોધખોળ બાદ તેમના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યાં હતા. એક જ પરિવારના ત્રણેય બાળકોના મૃત્યુથી શોકનો માહોલ છવાયો છે. પરિવાર સહિતના પંથકમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના ઉમરા ગામમાં તાપી નદીમાં નાહવા પડેલા 3 બાળકો ડુબ્યા હતા. જેને લઇને બન્ને બાળકોના મોત થયા હતા. જેમાં 10 વર્ષ અને 8 વર્ષના બાળકનું મોત થયું હતું. જોકે હજુ એક બાળકની શોધખોળ ચાલી રહી છે. આ મામલે ઉમરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.