નાગરિકતા સંશોધન કાયદા(CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઇ ચૂક્યો છે. જેને લઇને સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કર્યો આદેશ
10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ
અમદાવાદમાં શાંતિ ન ડહોળાય, જેને લઇને લેવાયો નિર્ણય
CAA વિરોધ, ઉત્તરાયણનો તહેવાર અને ABVP-NSUIના ઘર્ષણના કારણે અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં જેને લઇને 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે નાગરિકોની કાયદેસર અભિવ્યક્તિને દબાવી દેવા કલમ 144ને સાધન ન બનાવવું જોઈએ તેવી ટીકા કરી હતી. એ જ દિવસે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આ કલમ લાગૂ કરવામાં આવતી હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી.