ભારતમાં કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે દેશભરમાં સ્કૂલ અને કોલેજો છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવામાં આવ્યાં હતા. આ વચ્ચે સ્કૂલ-કોલેજોને શરૂ કરવાને લઇને વારંવાર અટકળો સામે આવી રહી હતી કે ટૂંક સમયમાં જ આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. લોકડાઉન દરમિયાન ગ્રીન અને ઓરેંજ ઝોનમાં સ્કૂલ જુલાઇ સુધીમાં ખોલવામાં આવી શકે છે. જો કે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્કૂલ-કોલેજો ખોલવાને લઇને સ્પષ્ટતા કરી દીધી છે.
અટકળો પર વિરામ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સ્કૂલ અને કોલેજો ખોલવા પર હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને દેશભરમાં બધા શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પણ રોક લગાવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આ નિવેદન બાદ એ અટકળો પર વિરામ લાગી ગયો છે કે ટૂંક સમયમાં દેશભરની સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે ન આપી સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી
જો કે ગત દિવસોમાં એવા સમાચાર આવ્યાં હતા કે બધા રાજ્યોમાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેને લઇને ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરી જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવો કોઇ નિર્ણય લીધો નથી. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર હજુ પણ રોક છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરના સંક્રમણના ફેલાવાના રોકવા માટે માર્ચથી બધા શૈક્ષિણક સંસ્થાઓ બંધ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચના રોજ દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યાર બાદ પહેલા લોકડાઉનને 3 મે સુધી લંબાવામાં આવ્યું હતું અને ફરી 17 મે સુધી લંબાવાયું જે હવે વધીને 31 મે સુધી કરી દેવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાથી 1.25 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે.