દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બધાં પ્રકારની લોન માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડીંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ લાખો હોમ લોન ગ્રાહકોની ઈએમઆઈ ઘટી જશે. આ ઘટાડો 10 ડિસેમ્બર એટલે કે મંગળવારથી લાગૂ થશે. તેનાથી ફ્લોટિંગ રેટવાળી હોમ લોન સસ્તી થઈ જશે.
SBIએ ઓટો અને હોમ લોનના વ્યાજદર ઘટાડ્યા
લાખો હોમ લોન ગ્રાહકોની ઈએમઆઈ ઘટી જશે
MCLR રેટ 8થી ઘટીને 7.9 ટકા થઈ જશે
જોકે, આ સુવિધાનો ફાયદો તરત નહીં મળે. એસબીઆઈએ આ નાણાકીય વર્ષમાં તેના MCLRમાં સતત 8મી વખત ઘટાડો કર્યો છે. હાલના ઘટાડા બાદ MCLR રેટ 8થી ઘટીને 7.9 ટકા થઈ જશે. એસબીઆઈએ દાવો કર્યો છે કે તે દેશમાં સૌથી સસ્તી લોન આપવારી બેંક છે.
આ બદલાવ થયા
હાલ બેંકે રેપો રેટ સંબંધિત લોનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક દિવસથી એક મહિના સુધીની લોન માટે MCLR રેટ 7.65, 3 મહિના માટે MCLR રેટ 7.70 ટકા, 6 મહિના માટે 7.85 ટકા, 2 વર્ષ માટે 8.10 ટકા અને 3 વર્ષ માટે 8.20 ટકા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હોમ લોન અને ઓટો લોનમાં એસબીઆઈનો માર્કેટ શેરમાં આશરે 25 ટકા ભાગ છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે તાજેતરમાં જ તેમની નાણાકીય નીતિ સમીક્ષામાં કહ્યું હતું કે, તેઓ વધુ વ્યાજદર ઘટાડવામાં ઉતાવળ નહીં કરે. જાન્યુઆરી 2014થી ઓક્ટોબર 2019ની વચ્ચે રિઝર્વ બેંકે રેપો રેટમાં 2.85 ટકાનો ઘટાડો કરી 8 થી 5.15 ટકા કર્યો છે, પરંતુ બેંકોએ હજી સુધી તેનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપ્યો નથી.
કઈ રીતે મળશે લાભ
MCLR ઘટાડાથી હોમ લોનના વ્યાજ દર અથવા ઇએમઆઈ પર તરત અસર નહીં થાય. હકીકતમાં એસબીઆઈની ફ્લોટિંગ રેટ હોમ લોન આ એક વર્ષના MCLR સાથે જોડાયેલી છે અને તેમાં દર વર્ષ માટે રેટ નિર્ધારિત હોય છે. એટલે કે જો કોઈ રેટ દર ઓગસ્ટમાં નક્કી કરવામાં આવે છે અને તે પછી MCLRમાં ફેરફાર થાય છે, તો તેનો ફાયદો આવતા વર્ષે એટલે કે આગામી ઓગસ્ટ સુધી મળશે.