જો તમારું બેંક ખાતું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)માં છે તો તમારી પાસે બેંક તરફથી એક SMS આવ્યો હશે. જેમાં ખાતામાં 147.50 રૂપિયા કપાવાની જાણકારી આપવામાં આવી છે. SBI એકાઉન્ટ ખાતા ધારકના ખાતામાંથી 147.50 રૂપિયા કાપી નાખવામાં આવ્યા છે જે અંગે ગ્રાહકોને મેસેજના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે. જોકે બેંક તરફથી એવું જણાવવામાં આવ્યું નથી કે આખરે આ રકમ કેમ કાપવામાં આવી? બેંકે આ રકમ કેમ કાપી તે અંગે આજે અમે તમને જણાવીશું.
SBIના ખાતા ધારકોના ખાતામાંથી 147 રૂપિયા કપાયા
આખરે બેંકે તેમના ખાતામાંથી રૂપિયા કેમ કાપ્યા? આ અંગે લોકોમાં આશ્ચર્ય સર્જાયું. જોકે બેંકે આ અંગે સ્પષ્ટતા કરી છે. જોકે આ બાબત તમારા બેંક ખાતાના સ્ટેટમેન્ટમાં પણ સ્પ્ષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. બેંકે પોતાના ગ્રાહકોના ખાતામાંથી આ ચાર્જ ATM એનુઅલ ચાર્જ રૂપે વસૂલ્યો છે. આ રકમ ATM એનુઅલ ચાર્જ અને GST સહિત કાપવામાં આવ્યો છે.
દર વર્ષે આ ચાર્જ કપાય છે
અહીં જણાવવાનું કે ગયા વર્ષે SBIએ પોતાની સેવાઓ માટે સેવા ફીમાં ફેરફાર કર્યો હતો. બેંકે ચાર્જમાં ફેરફાર કરતાં ચાર્જમાં વધારો કર્યો હતો. હવે બેંકે ગ્રાહકોના ખાતામાંથી ATM અનુઅલ ચાર્જ રૂપે GST સાથે 147.50 રૂપિયા કાપી લીધા છે. આ ચાર્જ દર વર્ષે કાપવામાં આવે છે. બેંક પોતાના ગ્રાહકોને આપતી સેવાઓ માટે ચાર્જ વસૂલતી હોય છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. દરેક પ્રકારના કાર્ડ માટે આ ચાર્જિસ અલગ-અલગ હોય છે. જેમકે ગોલ્ડ કાર્ડ માટે અલગ સિલ્વર માટે અલગ હોય છે.
ફરિયાદ કરવાનો અધિકાર:
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની ચાર્જ વસૂલવાની નીતિ પર જો તમને વાંધો હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે રૂપિયા કપાવાની નીતિથી અસહમત હોય તો ‘UNHAPPY’ લખી 8008202020 આ નંબર પર મોકલી શકો છો. આ સિવાય તમે બેંકમાંથી ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. બેંક 10 દિવસની અંદર તમારી ફરિયાદનો ઉકેલ લાવશે. જો બેંક તમારી ફરિયાદનો ઉકેલ લાવવામાં અસમર્થ પુરવાર થાય તો તમે નોડલ ઓફિસર અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચેરમેનને ફરિયાદ કરી શકો છો.