એકાએક અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળતાં સાવરકુંડલા પંથકના કેટલાંક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. વિજપડી, ભમ્મર, ચીખલી, રાજુલા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. તો કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત તો મળી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એકાએક વરસાદ આવતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
યાત્રાધામ શામળાજીમાં વાતાવરણમાં પલટો
શામળાજીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો બીજી તરફ કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હિંમતનગર, તલોદ, ઈડર સહિતના વિસ્તારમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં વાતરવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગ, તાલોદ, ઇડર સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. પવન સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભિંતી સેવાઇ રહી છે.
ગુજરાતમાં એકંદરે ચોમાસું શારુ રહેશે: અંબાલાલ પટેલ
ચોમાસાને લઈને પરંપરાગત હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં એકંદરે ચોમાસુ સારુ રહેશે અને આ વખતે જૂનની શરૂઆતથી ચોમાસુ બેસશે તેવી આગાહી તેમણે કરી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં વંટોળની શક્યતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ભારતમાં 4 જૂનથી ચોમાસુ શરૂ થશે
દેશમાં ચોમાસાને લઈને સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટે ભારતમાં 4 જૂનથી ચોમાસુ શરૂ થશે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ 4 જૂન સુધીમાં ચોમાસુ કેરલ પહોંચી શકે છે. મળતી માહિતી મુજબ વરસાદ પર અલનીનોની અસર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને સામાન્યથી ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા: હવામાન વિભાગ
આગાહી મુજબ આ વર્ષે સામાન્યથી 93 ટકા વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. જો કે રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. તો મહારાષ્ટ્ર અને પંજાબમાં પણ સાર વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે બિહાર અને ઝારખંડમાં ઓછો વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં સારા વરસાદની આશા છે. તો મધ્ય ભારતમાં 91% વરસાદ અને પૂર્વીય ભારતમાં 92% વરસાદની આગાહી કરવામાં આવી છે.