ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. ડેમની સપાટી વધીને 133 મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા ડેમની સપાટી વધીને 132.98 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે જળસપાટીમાં વધારો થતા ડેમના 15 દરવાજા ખોલી દેવાયા છે. ડેમમાંથી હાલ 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. તો નીચાણવાળા ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે RBPH અને CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે. પાણીની આવક થતા નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી આવતા કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે ગોરા બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ છે.
સરદાર સરોવરની જળ સપાટી 133 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ડેમને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.