રશિયા-યુક્રેન યુદ્ધને લઇને બે વખત યોજાયેલી બેઠક બાદ સોમવારે ફરીથી બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ હતી, પરંતુ તેનું પરિણામ કંઇ જ ન આવ્યું. એવામાં યુક્રેને દાવો કર્યો છે કે, સુમી શહેરમાં રશિયાએ 500 કિલોનો બોમ્બ ફેંક્યા હતા. જેમાં 2 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે.
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ
સુમીમાં 2 બાળકો સહિત 18નાં મોત : યુક્રેન
યુક્રેનના સુમીમાં જ ફસાયા છે 700 ભારતીય વિદ્યાર્થીઓ
યુક્રેન સરકારનો દાવો છે કે રશિયન સેનાએ સુમીમાં મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં 500 કિલોના બોમ્બ ફેંક્યા હતા. જેમાં 2 બાળકો સહિત 18 લોકોના મોત થયા હતા. સુમીમાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. તાજેતરની માહિતી અનુસાર, મેડિકલ વિદ્યાર્થીઓને બહાર નીકાળવામાં આવ્યા છે. તેમની સાથે રેડક્રોસ અને ભારતીય દૂતાવાસના લોકો પણ સામેલ છે. રશિયાની સરહદથી માત્ર 60 કિમી દૂર સુમીમાં બંને દેશોની સેનાઓ વચ્ચે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, રશિયા-યુક્રેન વચ્ચે યોજાયેલી ત્રીજી વખતની બેઠકમાં શહેરોમાં ફસાયેલા નાગરિકો માટે માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે કેટલીક હકારાત્મક ચર્ચાઓ કરાઇ હતી. મહત્વનું છે કે, આજે ફરી હ્યુમન કોરિડોર ખોલવામાં આવશે. બીજી તરફ UN ની એક એજન્સીએ જણાવ્યું કે, રશિયન હુમલા બાદ 17 લાખથી વધુ યુક્રેનીઓ દેશ છોડીને મધ્ય યુરોપ પહોંચી ગયા છે.
કીવમાં મોટા હુમલાની ચેતવણી
આ યુદ્ધ વચ્ચે કીવમાં રશિયન સેના દ્વારા મોટા હુમલાનું એલર્ટ છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયાની વૈગનર ટુકડી કીવમાં પ્રવેશ કરી શકે છે. વૈગનર ટુકડીમાં ભાડૂતી સૈનિકો પણ સામેલ છે. રશિયન સૈનિકો કીવ પ્રદેશના ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં હાજર છે. બાકીના પૂર્વમાંથી પણ રશિયન દળો આવવાની સંભાવના છે.
રશિયાએ 202 શાળાઓ, 34 હોસ્પિટલો નષ્ટ કરી દીધી : યુક્રેન
યુક્રેને એવો દાવો કર્યો છે કે, રશિયન મિસાઇલોએ Zhytomyr માં અન્ય વધુ એક શાળાને નષ્ટ કરી દીધી છે. જો કે, શાળા બંધ હતી ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની ન હોતી થઈ. એવો દાવો કરવામાં આવે છે કે રશિયાએ અત્યાર સુધીમાં 202 શાળાઓ, 34 હોસ્પિટલો, 1500 રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી છે.