નવેમ્બર મહિનો સમાપ્ત થવાના આરે છે. આ સાથે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા કેટલાંક નિયમો પણ બદલાવાના છે. આ ઉપરાંત બેન્કિંગ અને પેન્શન સાથે સંબંધિત કેટલાંક નિયમો પણ બદલાઈ રહ્યાં છે.
નવેમ્બર મહિનો સમાપ્ત થવાના આરે
LPG ના ભાવમાં થઈ શકે છે ફેરફાર
બેન્કિંગ અને પેન્શનના નિયમોમાં થઈ શકે છે ફેરફાર
UAN-Aadhaar Linking
EPFO એ UAN અને આધાર લિન્ક કરવાની સમય મર્યાદા વધારીને 30 નવેમ્બર કરી હતી. હવે તેમાં વધુ સમય મર્યાદા વધવાની આશા નથી. એવામાં જે લોકોએ આ કામ કર્યુ નથી તેવા લોકોએ માત્ર ત્રણ દિવસમાં આ કામ પતાવવુ પડશે. નહીંતર મોટું નુકસાન ઉઠાવવુ પડશે. નિર્ધારીત સમય મર્યાદાની અંદર UAN-Aadhaar લિન્ક નહીં કરાવવાથી ખાતાધારકોના ખાતામાં પીએફ જમા થશે નહીં. આવા ખાતાધારકો પીએફના ખાતામાંથી રોકડ પણ ઉપાડી શકશે નહીં.
સાત લાખના વીમાને થઇ શકે છે નુકસાન
30 નવેમ્બર સુધી UAN-Aadhaar લિન્ક નહીં કરાવવાથી વધુ એક નુકસાન થઇ શકે છે. EPFO એ Employees Deposit Linked Insurance માટે પણ UAN-Aadhaar લિન્કિંગને જરૂરી બનાવી દીધુ છે. જો આવુ નહીં કર્યુ હોય તો કર્મચારીનું પ્રીમિયમ જમા થશે નહીં અને સાત લાખ રૂપિયા સુધીના વીમા કવરના લાભથી વંચિત રહી જશો.
બદલાઈ શકે છે LPG ના ભાવ
પેટ્રોલ ડીઝલના વેચાણ કરનારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ સામે આવ્યાં બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આ શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 10 ડૉલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે, જે એપ્રિલ 2020 બાદ સૌથી મોટો ઘટાડો થયો છે. એવામાં આશા સેવાઈ રહી છે કે 1 ડિસેમ્બરની સમીક્ષામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય.
પેન્શન ધારકો માટે આ ફેરફાર
સરકારી પેન્શન ધારકો માટે જીવન પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. આ સમય મર્યાદાની અંદર જે લોકો જીવન પત્ર જમા નહીં કરાવે તેવા સરકારી પેન્શન ધારકોને પેન્શન મળવાનું બંધ થઇ જશે. ઈપીએફઓના હાલના ટ્વિટ મુજબ, સરકારી પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી જીવન પત્ર જમા કરાવવુ પડશે. જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘર બેઠાં ડીજીટલ પદ્ધતિથી કરી શકાય છે.
SBI Credit Card થશે મોંઘુ
એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે પણ ડિસેમ્બરથી ફેરફાર થવાનો છે. હવે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ઈએમઆઈ પર ખરીદી કરવી મોંઘી થઇ જશે. અત્યાર સુધી એસબીઆઈ કાર્ડ ફક્ત વ્યાજ વસુલતી હતી. પરંતુ હવે ઈએમઆઈ પર ખરીદી કરશો તો પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે. જેની સીધી અસર એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોના ખિસ્સા પર પડશે.