બોલિવૂડના વેટરન એક્ટર ઋષિ કપૂર હાલમાં એક વાતથી ખૂબ નારાજ છે. તેમને લાગે છે કે સરકાર આર્ટિસ્ટ કોમ્યુનિટી સાથે સારી રીતે વર્તતી નથી અને ભારતમાં કલાકારોનું એ રીતે સન્માન નથી થતું જે રીતે વિદેશોમાં થાય છે. ઋષિ કપૂરે કહ્યું કે, 'જ્યારે હું વિચારું છું કે આપણી સરકાર કલાકારો સાથે કેવી રીતે વર્તે છે ત્યારે હું પરેશાન થઈ જાવ છું. આપણું રાષ્ટ્ર વિશ્વભરમાં સિનેમા, સંગીત અને સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ આપણી સરકાર કલાકારો સાથે કેવી રીતે વર્તે છે. શું સરકાર અન્ય દેશોની જેમ આપણા દેશના કલાકારોને ઓળખ આપે છે? બધાં જ નવા રસ્તાઓ, પુલ, એરપોર્ટ રાજકારણીઓના નામ પર રાખવામાં આવે છે. આ બધી જગ્યાએ કોઈ કલાકારનું નામ કેમ રાખવામાં આવતું નથી? '
ઋષિએ કહ્યું સરકાર આર્ટિસ્ટ કોમ્યુનિટી સાથે સારી રીતે વર્તતી નથી
ભારતમાં કલાકારો સન્માન થતું નથી
યુએસમાં કલાકારોને ઘણું સન્માન આપવામાં આવે છે
ઈન્ડસ્ટ્રીમાં 5 દાયકા સુધી કામ કરનાર ઋષિએ વધુમાં કહ્યું, ' આપણી પાસે પંડિત રવિશંકર, લતાજી જેવા લોકો છે. શું તમે એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં રાજ કપૂર અને પૃથ્વીરાજ કપૂરના યોગદાનને ભૂલી ગયા છો? આવું હું એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તે મારા કુટુંબીજનો છે પણ તેમના યોગદાનને વિશ્વભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આપણા દેશમાં નહીં, શા માટે'?
તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂર એક વર્ષ પછી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી યૂએસથી પાછા ફર્યા છે અને તેમને લાગે છે કે ત્યાંના કલાકારોને સન્માન આપવામાં આવે છે અને ત્યાંની યંગ જનરેશનને ઈન્ડિયન કલ્ચર વિશે પણ ઘણી જાણકારી છે, પરંતુ ભારતમાં આવું નથી.
ઋષિ હવે ધ બોડી' ફિલ્મમાં જોવા મળશે
ઋષિ કપૂરને અત્યાર સુધી ઘણાં એવોર્ડ્સ મળી ચૂક્યા છે. જેમાં ફિલ્મ 'મેરા નામ જોકર'માં ડેબ્યૂ રોલ માટે બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઋષિના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેઓ 'ધ બોડી' ફિલ્મમાં જોવા મળશે. 13 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ઈમરાન હાશમી અને વેદિકા જેવા એક્ટર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.