એક અરજદારે ભૂતકાળમાં ફરિયાદ આપી હતી જે બાદ ઓચિંતી મુલાકાતમાં અનેક ગેરરીતિઓ પણ સામે આવી
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
મહેસુલ વિભાગની મુહિમ ચાલુ રહેવાની છેઃ ત્રિવેદી
જ્યાંથી ફરિયાદ મળશે ત્યાં પહોચીશું
ભ્રષ્ટાચાર ત્યારે જ દૂર થઈ શકે જ્યારે સત્તાપર બેઠેલા નેતાઓ એક્શન મોડમાં આવે અને જનતાના પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળે. કદાચ આજ દીશામાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આગળ વધી રહ્યા છે. જેમણે અમદાવાદ બાદ આજે દહેગામ મામલતદાર કચેરીમાં રેડ કરી હતી. જેના કારણે અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો.. પરંતુ આ ઓચિંતી મુલાકાતમાં અનેક ગેરરીતિઓ પણ સામે આવી. ત્યારે મહેસૂલ મંત્રીના આ ઓપરેશનની કેવી જોવા મળી છે અસર તે પણ જોઈએ.
મંત્રી પદ સંભાળતાની સાથે જ મહેસૂલ મંત્રી રાજેદ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે.. અને તેમાં પણ મહેસૂલ કચેરીઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું જાણે તેમણે નીમ લઈ લીધું હોય તેમ એક એક કચેરીઓમાં ઓચિંતી રેડ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં સ્ટેમ્પ ડયુટીની કચેરીમાં દરોડા આડી અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.. તો હવે વધુ એક કચેરીમાં ઓચિંતા જ મુલાકાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
મહેસુલ મંત્રીએ ગુરુવારે દહેગામની મામલતદાર ઓફિસની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. અહીં તેમણે અમુક ટેબલો ખાલી જોતાં બાકીનો સ્ટાફ ક્યાં છે તેની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓના ટેબલ પર રુબરુ જઈને તેમણે પેન્ડિંગ કામોની વિગતો ઉપરાંત, કોરોનાની સહાય ચૂકવણી સહિતની વિગતો માગી હતી.
અરજદાર પાસેથી ત્યાં જ ફરિયાદ લખાવી
મહત્વનું છે કે, મહેસૂલ મંત્રીએ અહીં અરજદારો સાથે મુલાકાત કરી તેમનું કામ ક્યારથી પેન્ડિંગ છે તેમજ ફાઈલનું શું સ્ટેટસ છે તેની જાતે જાણકારી પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન એક અરજદારે પોતાની અરજીનો કોઈ રેકોર્ડ નથી તેવો અધિકારીઓ જવાબ આપતા હોવાની ફરિયાદ કરતાં મહેસૂલ મંત્રી એ અરજદાર પાસેથી ત્યાં જ ફરિયાદ લખાવી હતી..અને તેના પર પગલાં લેવાની ખાતરી આપી હતી.
ભ્રષ્ટ અધિકારીનો વીડિયો અને ઓડિયો બનાવી મોકલવા માટે અપીલ કરી
મહેસૂલ મંત્રીની આ રીતે ઓચિંતી મુલાકાત અને સરકારી કચેરીઓમાં અવ્યવસ્થાઓનું સામે આવવું ખુબ મોટો મુદ્દો છે. તમે ખુદ વિચાર કરી જુઓ કે, મહેસૂલ મંત્રીની રેડમાં જ અધિકારીઓની લાલીયાવાળી સામે આવી રહી છે. તો આ અધિકારીઓ આમ જનતાને કેટલી પરેશાન કરતા હશે. કારણ કે, આ તો મહેસૂલ મંત્રી છે એટલે તેમની સામે કાોઈ અધિકારી કાંઈ નથી બોલી શક્તા. પરંતુ એક આમ નાગરિક હોત તો કદાચ આજ અધિકારીઓ તેમને ધક્કા મારીને બહાર નાઢી મુકેત. જોકે મહેસૂલ મંત્રીએ આમ જનતાને પણ જાગૃત બનવા અને કાોઈપણ ભ્રષ્ટ અધિકારીનો વીડિયો અને ઓડિયો બનાવી મોકલવા માટે અપીલ કરી છે.. ત્યારે આશા રાખીએ કે, જનતા પણ આ ભ્રષ્ટાચાર મુક્ત મિશનમાં જોડાશે અને ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડશે.