ભારતમાં આજે મહામારી સામે મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોરોનાને દેશમાંથી નાબૂદ કરવા માટે લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાની એક રસી પર ઘણા લોકોને આશંકા છે. જોકે સરકાર દ્વારા વારંવાર આ આશંકાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે મેગાવેક્સિનેશન
જુદા જુદા સેન્ટર પરથી લોકોને આપવામાં આવી રહી છે રસીનો ડોઝ
RML હોસ્પિટલે મેડ ઇન ઈન્ડિયા વેક્સિન પર આશંકા વ્યક્ત કરી
કેમ આશંકા વ્યક્ત કરી રહ્યા છે તબીબો?
દેશભરમાં કોરોના વાયરસ સામે સૌથી મોટો પ્રહાર કરી દેવામાં આવ્યો છે જેમાં આજથી દેશના નાગરિકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. મહામારી સામે ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે બે જુદી જુદી વેક્સિનને લઈને ઘણા બધા નેતાઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલના ડૉક્ટરોએ કૉવેક્સિન લેવાથી ના પાડી.
પત્ર લખીને કોવિશિલ્ડમાં રુચિ દર્શાવી
મીડિયા અહેવાલો અનુસાર રેસિડેન્ટ ડૉક્ટર્સે પત્ર લખીને કૉવેક્સિનની જગ્યાએ કોવિશિલ્ડની માંગ કરી છે. જોકે આ મામલે હોસ્પિટલ તરફથી કોઇ જ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં કોરોના વાયરસની સામે રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે જાણકારી અનુસાર રસીકરણમાં કોવેક્સિનને મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે રેસિડેન્ટ ડૉક્ટરના મનમાં કોવેક્સિનના ટ્રાયલ હજુ પૂર્ણ ન થયા હોવાથી આશંકાઓ છે.
આ પહેલા પણ થયો હતો વિવાદ
નોંધનીય છે કે આ પહેલા પણ આ જ રસી પર ખૂબ હોબાળો થયો હતો કારન કે એમ્સના ડૉ. ગુલેરિયાએ આ રસીને બેકઅપ ગણાવી હતી જે બાદ ભારત બાયોટેકના સીઇઓએ તેના પર વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે જ્યારે કોરોના વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું હતું ત્યારે એમ્સના સ્ટાફે આ રસીમાં રુચિ દર્શાવી ન હતી જેના કારણે વૉલંટિયર પણ ખૂટી પડ્યા હતા. જોકે આ રસીને સુરક્ષિત માનવામાં આવી રહી છે અને તેના ટ્રાયલ પણ એમ્સમાં જ થયા છે. ભારત સરકારના મંત્રીઓ દ્વારા તથા વિવિધ મુખ્યમંત્રીઓ દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને બંને રસી સુરક્ષિત જ છે.
સરકારના મંત્રીઓએ જ કેમ ન લગાવી વેક્સિન? : કોંગ્રેસ
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કોરોના વેક્સિનેશન પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે સરકારના મંત્રીઓએ કોરોના વેક્સિન કેમ લગાવી નહીં, જ્યારે વિદેશોમાં સૌથી પહેલા રાષ્ટ્રપ્રમુખોએ જ કોરોનાની રસી લગાવી છે. મનીષ તિવારીએ કહ્યું કે સરકારના કોઇ મંત્રીએ રસી લગાવી નથી. મંત્રીઓએ સામે આવી રસી લગાવી જોઇએ.
સંજીવનીનું કામ કરશે કોરોના વેક્સિનઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના સામેની લડાઇમાં વેક્સિનને સંજીવની બતાવી છે અને તેને લઇને ફેલાવામાં આવી રહેલી અફવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી સ્થિત એમ્સમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવા પહોંચેલા આરોગ્ય મંત્રી હર્ષર્ધને કહ્યું, કેટલાક શરારતી તત્વો દ્વારા વેક્સિન માટે ખોટી-ખોટી અફવાઓ ફેલાવી ગેરસમજણ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.