રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે તેના રાઇટ્સ ઇશ્યૂ અંગે એક જાહેરાત બહાર પાડી છે, જે મુજબ કંપનીના રૂ 53,124.20 કરોડના રાઇટ્સ ઇશ્યૂને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આજે કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ બંધ થઈ ગયો છે. કંપનીના જણાવ્યા મુજબ આ રાઇટ્સ ઇશ્યૂ 1.59 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.
નોંધનીય છે કે આ ભારતનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ છે અને જો દુનિયામાં જોવામાં આવે તો, કોઈપણ નાણાકીય સંસ્થાનો છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ છે. જાહેરાત મુજબ મુકેશ અંબાણીએ તમામ શેરધારકોને આભાર માન્યો છે.
કંપનીમાં 25.4 લાખથી વધુ રિટેલ શેરહોલ્ડરો છે
મુકેશ અંબાણી અને પ્રમોટર ગ્રુપે કહ્યું છે કે તેઓ તેમના શેરની સંપૂર્ણ રકમ સબસ્ક્રાઇબ કરશે. આ સિવાય, જો કોઈ ભાગ બાકી રહે છે, તો તેઓ તેણે પણ સબ્સ્ક્રાઇબ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટી સંખ્યામાં શેરહોલ્ડરો છે. જેમાં 25.4 લાખથી વધુ રિટેલ શેરહોલ્ડરો અને 1,700 થી વધુ સંસ્થાકીય રોકાણકારો શામેલ છે.
કંપનીના ભવિષ્યને લઇને રોકાણકારો નિશ્ચિન્ત
સૂત્રો મુજબ આ સ્તરે ઓવર સબ્સ્ક્રાઇબ થવું એ કંપનીના ભવિષ્ય ઉપર દરેક વર્ગના શેરહોલ્ડરોએ મુકેલો વિશ્વાસ દર્શાવે છે. આ તાજેતરના સમયમાં પ્રસ્તુત કરેલા કોઈપણ અન્ય રાઇટ્સ ઇશ્યૂ દ્વારા પ્રાપ્ત સબ્સ્ક્રિપ્શન્સ કરતા ઘણા વધારે છે. અગાઉ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાના રાઇટ્સ ઇશ્યૂ પાંચથી આઠ ટકા વધુ સબ્સ્ક્રાઇબ થયા હતા.
રાઈટ્સ ઈશ્યૂનો શું મતલબ છે?
શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ તેમની કેપિટલ વધારવા માટે રાઈટ્સ ઈશ્યૂ લાવે છે. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા કંપની તેના શેરધારકોને વધારાના શેર ખરીદવાની તક આપે છે. રાઇટ્સ ઇશ્યૂ હેઠળ શેરધારકો ફક્ત એક નિશ્ચિત પ્રમાણમાં વધારાના શેર ખરીદી શકે છે. કંપની આ ગુણોત્તર નક્કી કરે છે. જો કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ માટે 1: 4 નો ગુણોત્તર નક્કી કર્યો છે, તો તેનો અર્થ એ છે કે શેરધારક તેની પાસે પહેલેથી રહેલા પ્રત્યેક 4 શેરો પર 1 વધારાનો શેર ખરીદવાની તક મેળવે છે. કંપની રાઇટ્સ ઇશ્યૂ માટેનો સમય જાહેર કરે છે. તે રોકાણકારોને નિયત સમયગાળામાં વધારાના શેર ખરીદવાની તક આપે છે.
કંપનીઓ રાઈટ્સ ઈશ્યૂ કેમ લાવે છે?
કેપિટલ એટલે કે મૂડી એકત્ર કરવા માટે કંપની રાઇટ્સ ઇશ્યૂ લાવે છે. ઘણી વખત કોઈ કંપની વ્યવસાયના વિસ્તરણ એટલે કે બિઝનેસ એક્સપાન્શન માટે અથવા બીજી કંપનીને ટેક ઓવર કરવા માટે નાણાં એકત્રિત કરવા માટે રાઇટ્સ ઇશ્યૂ લાવે છે. કેટલીક કંપનીઓ દેવાના બોજને ઘટાડવા માટે પણ રાઈટ્સ ઈશ્યૂનો આશરો લે છે.