રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યસ (YES) બેંક પર નિયંત્રણ લગાવ્યા છે. યસ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકારોના કહેવા મુજબ યસ બેંકના ગ્રાહકો આગામી એક મહિના સુધી રૂપિયા 50 હજાર સુધીની જ રકમ ઉપાડી શકાશે.
RBIએ યસ (YES) બેંક પર લગાવ્યા નિયંત્રણ
યસ બેંકની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય
એક સાથે મહિને 50 હજાર સુધીની જ રકમ ઉપાડી શકાશે
યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને RBIએ 30 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જ્યારે હાલ પૂરતી પ્રશાંત કુમારની બેંકના વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જો કે મેડિકલ ઈમરજન્સી, વિદેશ અભ્યાસ માટે ફીની ચુકવણી અને લગ્ન પ્રસંગને લઈને આકસ્મિક રૂપિયાની જરૂર પડશે તો આ ઉપાડ મર્યાદા અપવાદ કેસમાં વધારીને નાણા આપવામાં આવશે.
બૅંકના શેરમાં આવી તેજી
યસ બૅંકમાં SBIની ભાગીદારીની ખબરથી બૅંકના શેરમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે. દિવસના અંત યસ બૅંકના શેરમાં 36.85 (25.77 ટકા) રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. તેના એક દિવસ પહેલાં 29.30 રૂપિયા પર ભાવ બંધ થયો હતો.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે બૅંક
લગભગ 15 વર્ષ પહેલાં શરૂ થયેલી યસ બૅંકની આર્થિક હાલત સારી નથી. બૅંક પર દેવું વધતું જ જઈ રહ્યું છે તો બીજી બાજુ શૅર પણ તૂટી રહ્યો છે. યસ બૅંકની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે માત્ર 15 મહિનાની અંદર બૅંકના રોકાણકારોને 90 ટકાથી વધારે નુકસાન થઈ ગયું છે.
ઓગસ્ટ 2019માં યસ બૅંકનો જે શૅર 400 રૂપિયાથી વધારેના ભાવથી વેચાઈ રહ્યો હતો તે આજે ગગડીને 30 રૂપિયાથી પણ નીચે આવી ગયો છે. સપ્ટેમ્બર 2018માં બૅંકની માર્કેટ કેપ લગભગ 80 હજાર કરોડ રૂપિયા હતી તે આજે 9 હજાર કરોડ રુપિયા પર આવી ગઈ છે. આ હિસાબથી બૅંકની માર્કેટ કૅપમાં 70 હજાર કરોડ રૂપિયાથી વધારે ઘટાડો થયો છે.
કેમ યસ બૅંકની હાલત ખરાબ થઈ?
છેલ્લાં કેટલાંક વર્ષોમાં યસ બૅંકને એક પછી એક ઝટકા લાગ્યાં છે. જેમાં સૌથી મોટો ઝટકો RBI દ્વારા અપાયો. વર્ષ 2018માં RBIને લાગ્યું કે યસ બૅંક પોતાના ડૂબેલા દેવા (NPA) અને બેલેન્સ શીટમાં કંઈક ગડબડી કરી રહ્યું છે. ત્યાર બાદ RBIએ યસ બૅંકના ચૅરમેન રાણા કપૂરને જબરદસ્તીથી પદ પરથી હટાવી દીધા હતાં. બૅંકના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું કે કોઈ ચૅરમેનને આ રીતે પદથી હટાવાયા હોય.