ભારતમાં અનેક એવાં મંદિર છે કે જે પોતાની રીતે એક અનોખી પ્રકારની વિશેષતા ધરાવે છે. આવું જ એક અનોખું મંદિર મધ્યપ્રદેશનાં રતલામ શહેરનાં માણકમાં પણ છે. સામાન્ય રીતે બાકી રહેલા મંદિરોમાં ભક્તોને પ્રસાદનાં રૂપમાં મીઠાઇ અથવા તો કંઇ ખાવાની ચીજવસ્તુઓ અપાતી હોય છે પરંતુ મા મહાલક્ષ્મીનાં આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણાં આપવામાં આવે છે. અહીં આવનારા ભક્ત સોના-ચાંદીનાં સિક્કાઓ લઇને ઘરે જાય છે.
મા મહાલક્ષ્મીનાં આ મંદિરમાં વર્ષોથી ભારે ભક્તોની ભીડ રહેતી હોય છે. ભક્તજન અહીં આવીને કરોડો રૂપિયાનાં ઘરેણાં અને રકમ માતાનાં ચરણોમાં અર્પણ કરે છે. દિવાળીનાં તહેવાર પર આ મંદિરમાં ધનતેરસથી લઇને પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમ્યાન મંદિરને ફૂલોથી નહીં પરંતુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ ઘરેણાંઓ અને રૂપિયાઓથી સજાવવામાં આવે છે.
દીપોત્સવ દરમ્યાન મંદિરમાં કુબેરનો દરબાર લગાવવામાં આવે છે. આ દરમ્યાન અહીં આવનારા ભક્તોને પ્રસાદનાં સ્વરૂપમાં ઘરેણાંઓ અને રૂપિયા આપવામાં આવે છે. દીવાળી દરમ્યાન આ મંદિરનાં કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. કહેવામાં આવે છે કે ધનતેરસ પર મહિલા ભક્તોને અહીં કુબેરની પોટલી આપવામાં આવે છે. અહીં આવનારા કોઇ પણ ભક્તને ખાલી હાથ નથી મોકલવામાં આવતા. તેઓને કંઇક ને કંઇક પ્રસાદ જરૂરથી આપવામાં આવે છે.
મંદિરમાં ઘરેણાંઓ અને રૂપિયા ચઢાવવાની પરંપરા દશકોથી ચાલી આવતી રહી છે. પહેલા અહીંના રાજા રાજ્યની સમૃદ્ધિ માટે મંદિરમાં ધન વગેરે ચઢાવતા હતા અને હવે ભક્ત પણ અહીં ઘરેણાં, પૈસા વગેરે માતાનાં ચરણોમાં ચઢાવવા લાગ્યા છે. માન્યતા એવી છે કે આવું કરવાથી તેમનાં ઘરોમાં માં લક્ષ્મીજીની કૃપા સદાય બની રહે છે.