ભગવાન જગન્નાથજી તેમના સરસપુરના મોસાળે હોઈ ત્યાં 15 દિવસ સુધી મહેમાનગતિ માણશે બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રથયાત્રા રૂટને સ્વચ્છ, સુંદર બનાવવાની દિશામાં રાબેતા મુજબની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
રથયાત્રા રૂટઃ એકલા ખાડિયામાં સૌથી વધુ 180 મકાન ‘ડેન્જર’
AMC દ્વારા સમગ્ર રૂટ પર સર્વેના આધારે કુલ 287 મકાનને ભયજનક જાહેર કરાયાં
ખાડિયામાં સૌથી વધુ 180 મકાન ડેન્જર છે એટલે કે કુલ 287 મકાન ભયજનક જાહેર કરાયાં
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી ઐતિહાસિક રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં પ્રભુ જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. ભારે ભક્તિભાવપૂર્ણ રીતે ગયા રવિવારની સવારે નીકળેલી આ જળયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્યારે ભગવાન જગન્નાથજી તેમના સરસપુરના મોસાળે હોઈ ત્યાં 15 દિવસ સુધી મહેમાનગતિ માણશે. બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રથયાત્રા રૂટને સ્વચ્છ, સુંદર બનાવવાની દિશામાં રાબેતા મુજબની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડવાના હોઈ તે સમયે રૂટ પરનાં ભયજનક મકાનોથી કોઈ આકસ્મિક દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા રૂટનો સર્વે હાથ ધર્યો હતો. સત્તાવાળાઓના આ સર્વેમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. તંત્રના ભયજનક મકાનોના સર્વેનો રિપોર્ટ સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે ખાડિયામાં સૌથી વધુ 180 મકાન ડેન્જર છે એટલે કે કુલ 287 મકાન ભયજનક જાહેર કરાયાં હોઈ તે પૈકી 63 ટકા મકાન તો એકલા ખાડિયાનાં છે.
180 મકાન ભયજનક જાહેર કરાયાંની ચર્ચા
શહેરનો ખાડિયા વિસ્તાર એક સમયે પ્રજાલક્ષી આંદોલનોમાં ગૌરવશાળી અતીત ધરાવતો હતો, જોકે હવે ખાડિયા અન્ય મામલામાં ચર્ચાસ્પદ બનતું રહ્યું છે. ખાડિયાવાસીઓના ખમીરના તો પહેલાં સમગ્ર ગુજરાતમાં ડંકા વાગતા હતા, પરંતુ અત્યારે તો રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોની યાદીને તપાસતાં આ વોર્ડનાં 180 મકાન ભયજનક જાહેર કરાયાંની ચર્ચા ઊઠી છે. આમ તો રથયાત્રા રૂટનાં મકાનોનો સર્વે હંમેશ મુજબ હાથ ધરાતી કવાયત છે, જે મુજબ તંત્ર દ્વારા રૂટ પર કરાયેલા સર્વેમાં જે તે મકાનની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. જો કોઈ મકાન કે તેની ગેલેરી વગેરેનો રોડ પરનો ભાગ પડું પડું થતો હોય તો તે જગ્યાએ જો રથયાત્રા નિહાળતા લોકો ભેગા થાય તો જાનહાનિ થવાની શક્યતા રહે છે. આવાં મકાન પાસેથી પસાર થવામાં પણ જોખમ રહ્યું હોઈ તેનાથી જાનહાનિ થવાની ભારોભાર સંભાવના રહે છે. રથયાત્રા રૂટ પરનાં મકાનોના સર્વે અંગે વધુ માહિતી આપતાં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગનાં સૂત્રો કહે છે, તંત્રના સર્વે મુજબ રથયાત્રા રૂટ પર કુલ 287 મકાનને ભયજનક જાહેર કરાયાં છે, જોકે રથયાત્રાનો સમય નજીક આવ્યો હોઈ એસ્ટેટ વિભાગ દ્વારા તમામે તમામ ભયજનક મકાનોને અલગ તારવવા માટે લાલ રંગનાં સ્ટિકર લગાવાઈ રહ્યાં છે. આ લાલ રંગનાં સ્ટિકર દ્વારા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોકોને જાહેર ચેતવણી અપાઈ છે.
જાહેર ચેતવણી શું છે?
મ્યુનિસિપલ કમિશનરના હુકમથી અપાયેલી જાહેર ચેતવણીની નીચે આ મકાન ભયજનક છે એમ સ્પષ્ટપણે દર્શાવાયું છે. આની નીચે જણાવાયું છે કે, ''આથી તેનો કોઈ વ્યક્તિઓએ ઉપયોગ કરવો નહીં''. આ મકાનની ઉપર અથવા નીચે અથવા આસપાસ વધારે વ્યક્તિઓ ભેગા થાય અથવા આ મકાન પાસેથી પસાર થાય તે જોખમકારક છે તથા જાનહાનિ થવાની સંભાવના છે તેની તકેદારી રાખવા દરેક નાગરિકને આથી ચેતવણી આપવામાં આવે છે.