શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેએ આજે શપથ લીધા હતા. જોકે, કાર્યવાહક રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ રાજધાની કોલંબોમાં ફરી પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધીઓ રાનિલ વિક્રમસિંઘેનો વિરોધ કરી રહ્યા છે. ANI અનુસાર, રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીઓએ સિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, વિક્રમસિંઘે ગુરુવારે સવારે શપથ લેશે અને પછી નવા વડાપ્રધાનની નિમણૂક કરશે.
રાનિલ વિક્રમસિંઘેને 134 સાંસદોના વોટ મળ્યા
બુધવાર 20 જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાનિલ વિક્રમસિંઘેને 134 સાંસદોના વોટ મળ્યા હતા. ગુપ્ત મતદાન દ્વારા સંસદના મત જીત્યા પછી તરત જ, વિક્રમસિંઘે સંસદને સંબોધિત કરી હતી. જ્યાં વિપક્ષી ધારાસભ્યો સહિત તમામ ધારાસભ્યોને શ્રીલંકાને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે એકજૂથ થવા અને સાથે મળીને કામ કરવા હાકલ કરી.
લોકો ઈચ્છે છે કે તમામ સાંસદો સાથે આવે: વિક્રમસિંઘ
ગુપ્ત મતદાન દ્વારા સંસદના મત જીત્યા પછી તરત જ, વિક્રમસિંઘે સંસદને સંબોધિત કરી હતી. જ્યાં વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, "આપણે એક નાજુક તબક્કે છીએ. આર્થિક સંકટ છે અને યુવાનો સિસ્ટમમાં પરિવર્તન ઈચ્છે છે. લોકો ઈચ્છે છે કે તમામ સાંસદો સાથે આવે."
225 સાંસદોમાંથી 223એ નવા પ્રમુખની પસંદગી માટે મતદાન કર્યું અને ચાર મત અમાન્ય હતા. અન્ય બે ઉમેદવારો, શ્રીલંકા પોદુજાના પેરામુના પાર્ટીના સાંસદ દુલ્લાસ અલાહાપેરુમાને 82 મત મળ્યા અને નેશનલ પીપલ્સ પાવરના નેતા અનુરા કુમારા દિસાનાયકેને ત્રણ મત મળ્યા. વિક્રમસિંઘે રાજકારણમાં નવું નામ નથી અને અગાઉ તેઓ છ વખત શ્રીલંકાના વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટોચના દાવેદારોમાંના એક હતા જેમાં ગૃહના સભ્યોએ ગુપ્ત મતદાન દ્વારા મતદાન કર્યું હતું.
શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા હતા વિક્રમસિંઘે
નોંધનિય છે કે, શ્રીલંકાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસી ગયા હતા. દેશમાં રાજકીય ઉથલપાથલ અને અરાજકતાના વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા અને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું. આ પછી વિક્રમસિંઘેને શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.