Ram Navami 2023 ayodhya ram mandir temple completion date
PHOTOS /
લોકસભા ચૂંટણી પહેલા ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે 'રામલલા': આંદોલનથી લઈને દાનમાં ગુજરાતીઓ જ અવ્વલ
Team VTV07:15 AM, 30 Mar 23
| Updated: 08:23 AM, 30 Mar 23
રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામભક્તો માટે ગુડ ન્યુઝ સામે આવ્યાં છે. એવું કહેવાય છે કે, અયોધ્યાના રામ મંદિરનું 70 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં જાન્યુઆરી 2024માં રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન થઇ જશે.
અયોધ્યાના રામ મંદિરનું 70 ટકા નિર્માણકાર્ય પૂર્ણ: હિતેન્દ્રસિંહ રાજપૂત
14 જાન્યુઆરીએ ભગવાન રામલલા થઇ જશે ગર્ભગૃહમાં વિરાજમાન
રામ મંદિરમાં સેન્ટ્રલ વિસ્ટામાં ઉપયોગ કરાયેલ લાકડાનો કરાશે ઉપયોગ
ભગવાન શ્રી રામની ભક્તિનો દિવસ એટલે રામનવમી. સામાન્યત: ભારતમાં રામનવમીનો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે. જેમાં એક ચૈત્ર નવરાત્રીમાં અને બીજી રામનવમી શારદીય નવરાત્રીમાં ઉજવાય છે. જેમાં બંનેની જો વિગતે વાત કરીએ તો ચૈત્ર મહિનામાં (ચૈત્ર સુદ નોમ) શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે રામનવમી ભગવાન રામના પ્રાગટ્યના રૂપમાં ઉજવવામાં આવે છે જ્યારે શારદીય નવરાત્રીમાં રામનવમીની ઉજવણી રાવણના વધના રૂપમાં કરવામાં આવે છે. રામનવમી એ હિંદુઓનો સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. ત્યારે આ વર્ષે તારીખ 30 માર્ચ એટલે કે આજ રોજ રામનવમીની પૂરા દેશમાં ભવ્યથી ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે અમે તમને રામનવમીના પર્વનું શું મહત્વ છે, રામનવમીને લઇને અયોધ્યામાં કેવી તૈયારી ચાલી રહી છે? ક્યાં સુધી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર તૈયાર થઇ જશે? તેમજ મંદિરનું કેટલા ટકા કામ પૂર્ણ થયું તેમજ હાલમાં કેવી તૈયારીઓ થઇ રહી છે તેને લગતી અનેક તસવીરો પણ અહીં શેર કરીશું. જેને જોઇ તમારું હ્રદય ગદગદીત થઇ જશે.
मन मुसुकाइ भानुकुल भानू।
रामु सहज आनंद निधानू॥
बोले बचन बिगत सब दूषन।
मृदु मंजुल जनु बाग बिभूषन॥
श्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल पर खींचा गया एक चित्र
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 15, 2023
ભારતમાં રામનવમીનું છે અનેરું મહત્વ
હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન શ્રી રામને વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર ત્રેતાયુગમાં રાવણના અત્યાચારોને ડામવા તેમજ ધર્મની પુન:સ્થાપના કરવા ભગવાન શ્રીહરિ વિષ્ણુએ પૃથ્વી પર શ્રી રામ સ્વરૂપે અવતાર લીધો હોવાનું કહેવાય છે. ભગવાન રામ કે જેઓ રાજા દશરથની મોટી પત્ની કૌશલ્યના પુત્ર હતા. જ્યારે દશરથની બીજી પત્ની કૈકેયીએ ભરતને જન્મ આપ્યો. તો દશરથની ત્રીજી પત્નીએ જોડિયા પુત્ર લક્ષ્મણ અને શત્રુજ્ઞને જન્મ આપ્યો. પિતાની આજ્ઞાનું પાલન કરવા રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ વનમાં વિચર્યા. તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન મર્યાદામાં રહીને પસાર કર્યું હતું. આથી તેઓ 'મર્યાદા પુરુષોત્તમ' તરીકે પ્રચલિત થયા. રામનવમીનું હિંદુઓમાં અનેરું મહત્વ હોવાથી દેશભરમાં ઠેર-ઠેર રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હાલમાં સૌ કોઇની નજર ઉત્તરપ્રદેશમાં તૈયાર થઇ રહેલા અયોધ્યાના રામમંદિરના નિર્માણ પર મંડરાયેલી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે અયોધ્યાના રામમંદિરના નિર્માણનું કાર્ય કેટલે પહોંચ્યું, ક્યાં સુધીમાં તૈયાર થઇ જશે અને કેવી છે તેના ગર્ભગૃહથી લઇને નિર્માણકાર્યની તસવીરો...
રામનવમી નિમિત્તે યોગી સરકારે આ વર્ષે અયોધ્યા ધામના દર્શન માટે હવાઇ યાત્રાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેની માટે ભક્તો હેલિકોપ્ટરનું પણ બુકિંગ કરાવી શકશે. જેની માટે ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગે એક ટ્વિટ પણ કર્યું છે જેમાં હવાઇ યાત્રા માટે કેવી રીતે બુકિંગ કરવું તેમજ કેટલો ખર્ચ થશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
રામમંદિરના નિર્માણકાર્યને લઇને જુઓ ચંપતરાય શું બોલ્યા?
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે UPના ગોરખપુરમાં એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રામમંદિરનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થઇ જશે. ડિસેમ્બરમાં ભગવાન શ્રીરામ વિરાજમાન થઇ જશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરમાં લોખંડનો ઉપયોગ નથી થઇ રહ્યો. પથ્થરોથી બનેલું આ મંદિર ત્રણ માળનું હશે. જેમાં 400 થાંભલા હશે.'
તાજેતરમાં જ રામમંદિરના નિર્માણકાર્યની સુંદર તસવીરો ચંપતરાયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેની તસવીરો જોઇ ભક્તોનું મન મોહી જશે.
'ગર્ભગૃહ' ના નિર્માણકાર્યની અદભુત તસવીર, જ્યાં બિરાજમાન થશે પ્રભુ રામલલા
આંદોલનથી લઈને દાનમાં ગુજરાતીઓ જ અવ્વલ: હિતેન્દ્રસિંહ રાજપૂત
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'અયોધ્યાના રામમંદિરનું 70 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. 14 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન પણ થઇ જશે. રામ મંદિરના આંદોલનમાં ગુજરાતનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ સિવાય દાન આપવામાં પણ ગુજરાતના ઉદ્યોગપતિઓનું વિશેષ યોગદાન રહ્યું છે. જેમાં શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ અને હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. એટલે કહી શકાય કે રામ મંદિરના નિર્માણકાર્યમાં ગુજરાતના તમામ લોકોનું વિશેષ યોગદાન રહ્યું છે.'
જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં PM મોદીના વરદ હસ્તે પ્રસ્થાપિત કરાશે રામલલાની મૂર્તિ: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી
રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, 'મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામલલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે.'
રામમંદિરના દાન કાર્યમાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો
ગોવિંદભાઈ ધોળકિયા સિવાય જયંતીભાઈ કબુતરાવાલાએ 5 કરોડનું દાન, લવજી બાદશાહે 1 કરોડનું દાન, શંકરભાઇ પટેલે 51 લાખનું દાન, દિલીપભાઇ પટેલે 21 લાખનું દાન તો ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે 11 લાખનું દાન કર્યું હતું. આ સિવાય નીતિન પટેલે પણ 1 લાખ 11 હજાર 111નું દાન આપ્યું હતું.
વધુમાં તમને જણાવી દઇએ કે, એકાદ-બે મહિના અગાઉ જ્યારે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક બાદ મહાસચિવ ચંપત રાયને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ટ્રસ્ટ મકરસંક્રાંતિ બાદ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી રહ્યું છે, જ્યારે અમિત શાહ 1 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી રહ્યાં છે. તો શું રામમંદિર નિર્માણમાં ગૃહ મંત્રાલયની કોઈ દખલગીરી છે? જેના પર ચંપત રાયે કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટમાં રામમંદિર મામલાની સુનાવણી અમિત શાહની કૃપાથી જ થઇ છે, નહીં તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જ ના થાત. તેને દખલ કહી રહ્યાં છો, તેઓ દેશના સન્માન માટે કામ કરનાર લોહી છે, અમિત શાહ નહીં.'
બીજી તરફ જ્યારે ચંપત રાયને પૂછવામાં આવ્યું હતું કે અમિત શાહે કહ્યું છે કે '1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તો શું 1 જાન્યુઆરીની પાક્કી છે? તો તેની પર તેઓએ કહ્યું હતું કે, 'અરે 1 જાન્યુઆરી શું, જે પણ મુહૂર્ત આવશે તે કરીશું.'
1 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિર બની જશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં ચૂંટણી ટાણે વાગરાથી રામમંદિરને લઇ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, '1 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિર બની જશે ટિકિટ બુક કરાવી લો.' રાહુલ ગાંધીને પણ અમિત શાહે અયોધ્યાની ટિકિટ બુક કરાવવા સૂચન કર્યું હતું. તદુપરાંત ત્રિપુરામાં પણ જાહેર જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, '1 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થઇ જશે.'
Nepal dispatches 2 Shaligram stones to Ayodhya for Ram, Janaki idols
રામ મંદિર માટે નેપાળથી લવાયા હતા બે દિવ્ય શાલિગ્રામ પથ્થર
અયોધ્યામાં હાલ પૂરજોશમાં રામ મંદિરનું નિર્માણકાર્ય થઇ રહ્યું છે. ત્યારે આ મંદિરમાં સીતારામની મૂર્તિઓ મૂકવામાં આવશે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ મૂર્તિઓ 2 ખાસ પથ્થરોમાંથી બનશે જેને શાલિગ્રામ શિલાઓ કહેવાય છે. આ શાલિગ્રામ શિલાઓને નેપાળની પવિત્ર કાળા ગંડકી નદીમાંથી નીકાળવામાં આવી હતી. સીતારામની મૂર્તિઓ બનાવવા માટે આ શિલાઓને ખાસ નેપાળથી ભારત મંગાવવામાં આવી હતી.
विशेषज्ञों की सलाह के अनुसार, श्री राम जन्मभूमि मंदिर के दरवाजों के लिए महाराष्ट्र के चंद्रपुर जिले के बल्लारपुर की श्रेष्ठतम सागवान लकड़ी का चयन किया गया है।
मंदिर के द्वारों हेतु काष्ठ, संतों और भक्तों द्वारा पूजन के पश्चात अयोध्या के लिए दिनांक 29 मार्च को रवाना होगी। pic.twitter.com/IXQg10STAN
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 27, 2023
સેન્ટ્રલ વિસ્ટામાં ઉપયોગ કરાયેલ લાકડાનો રામ મંદિરમાં થશે ઉપયોગ
સેન્ટ્રલ વિસ્ટામાં જે લાકડાનો ઉપયોગ કરાયો હતો એ જ લાકડામાંથી લાકડામાંથી રામ મંદિર બનશે. એટલે કે રામ મંદિરમાં મહારાષ્ટ્રના ચંદ્રપુરના જંગલના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે.