વિક્રમ સંવત 2075 શ્રાવણ સુદ પૂનમને આવતીકાલે એટલે કે, ગુરુવારના રોજ રક્ષાબંધન(બળેવ)પર્વની વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવશે. ગુરુવારના રોજ સ્વતંત્રતા દિવસ પણ સાથે હોવાથી બંન્ને દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.
ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન પર્વ હિન્દુ ધર્મના મોટા તહેવારો પૈકીનો એક છે. જેની ઉજવણી ધૂમધામથી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી એટલે કે રક્ષા બાંધીને તેના દિર્ઘાયુની મંગળ પ્રાર્થના કરે છે. તો આ દિવસને વધુ યાદ બનાવવા માટે ભાઇ પોતાની બહેનમાં કોઇને કોઇ ભેટ આપીને તેણીની રક્ષા કરવાનું વચન આપે છે.
નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલાવે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે અને દરિયો ખેડવાની શરૂઆત કરતા હોવાથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ તહેવાર એક વિશેષ મહત્વ ધરાવે છે.
તહેવાર સાથે જોડાયેલી કથા
એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના રાજા ઈંદ્રદેવ રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી તેઓ તે દુશ્મનોનો સામનો કરી શકે અને જીત પ્રાપ્ત કરી શકે.
એક વખત ભગવાન કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહીની ધારોઓ વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ તાત્કાલિક અસરથી પોતાની સાડીનો છેડાને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. જેથી લોહી વહેવાનું બંધ થયું અને બસ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો. આવી અનેક કથાઓ રક્ષાબંધન પર્વ સાથે જોડાયેલી છે.