કૃષિ કાયદા વાપસીનું બિલ લોકસભામાં પાસ થયાં બાદ પણ ખેડૂતોએ આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી છે.
રાકેશ ટિકૈતે કહ્યું, 'આંદોલન ચાલુ રહેશે'
MSP મુદ્દે સરકાર બેસીને ચર્ચા કરે-ટિકૈત
1 વર્ષમાં થયેલા નુકસાન પર વાત કરે-ટિકૈત
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરતું બિલ લોકસભામાં રજૂ કરતા સાંસદોએ પાસ કર્યું હતું. આમ સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અંગેના નિર્ણયનું આ પ્રથમ પગલું હતું. જો કે, ગાઝીપુર બોર્ડર પર મોરચો માંડીને બેઠેલા ખેડૂત આંદોલનકારીઓએ ઘર વાપસીને નનૈયો ભણ્યો છે.
અમે ઘર વાપસી નહીં કરીએ : રાકેશ ટિકૈત
ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ઇચ્છી રહી છે કે દેશમાં કોઈ આંદોલન ન થાય. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, MSP, મૃતક ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય સહિતના અનેક મુદ્દાઓનો હજી કોઇપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે આ મુદ્દાઓનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે હજી ઘરવાપસી નહીં કરીએ અને આંદોલન પણ યથાવત જ રહેશે.
લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પાસ થયું કૃષિ કાયદા વાપસી બિલ
છેલ્લા એકવર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે સંસદમાં Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો.
PM મોદીએ સાંસદોને કરી હતી અપીલ
સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે.સરકારની નીતિ વિરૂદ્ધ અવાજો ઉઠ્યા પરંતુ સદન અને અધ્યક્ષની ગરિમાનો ખ્યાલ રાખીએ. તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જો કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી.
સંસદનું સત્ર ખૂબ મહત્વનું હોવાની PM મોદીએ કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું-સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વનું છે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, હિન્દુસ્તાનની ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક,જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છીએ. આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા, તેમના સપનાઓ પૂર્ણ કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાત આપણા ભારતના ઉજ્જળ ભવિષ્ય માટે શુભ સંકેત છે.
સદનની ગરિમાનું ધ્યાન રાખવાની કરી અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ દિવસ નિમિત્તે એક નવા ઠરાવ સાથે સમગ્ર દેશે બંધારણની ભાવનાને પરિપૂર્ણ કરવાની દરેકની જવાબદારી અંગેનો ઠરાવ કર્યો છે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે. સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવો પણ ગૃહ અને સ્પીકરની ગરિમાનું ધ્યાન રાખો.
નવા વેરિયન્ટથી સતર્ક રહેવાની કરી અપીલ
કોરોના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત સત્રમાં કોરોના બાદ 100 કરોડ વેક્સિનેશન કર્યું હવે 150 કરોડ તરફ આગળ વધી રહ્યા છીએ. નવો વેરિયન્ટ પણ ડરાવી રહ્યો છે, જેનાથી સતર્ક રહીએ.