રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ પક્ષનો અલવિદા કહ્યું છે ત્યારે આજરોજ NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કાંધલ જાડેજા રાજ્યસભામાં ભાજપને કરશે સમર્થન
શંકરસિંહ વાઘેલાએ કહ્યું, જો તેઓ ક્રોસ વોટિંગ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરીશું
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કાંધલ જાડેજાએ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યસભામાં તેઓ ભાજપને મત આપશે. આ સાથે જ તેમણે વધુમાં મારા વિસ્તારના વિકાસના કામને મહત્વ આપીશ તથા હજુ મારે મારા વિસ્તાર માટે ઘણું કરવાનું છે.
શંકરસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન
કાંધલ જાડેજાના નિવેદનને પગલે ગુજરાત NCP ના વડા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કાંધલે ભાજપને સમર્થન આપ્યું છે પરંતુ તેમને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા જ મેન્ડેટ આપીશું. જો તેઓ ક્રોસ વોટિંગ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરીશું.
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, NCPના MLA કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપ્યું છે. ગત ચૂંટણીમાં પણ NCP અને BTPએ ભાજપના મત આપ્યા હતા ત્યારે આગામી ચૂંટણીમાં પણ NCP અને BTPને મત આપશે. આ સાથે જ તેમણે ભાજપના ત્રણેય ઉમેદવારનો વિજય સુનિશ્ચિત છતાં કોંગ્રેસ જીત માટે ખોટા દાવા કરી રહી છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. કોંગ્રેસે પોતાના ઉમેદવારની ચિંતા કરવાની જરૂર છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કર્યા બાદ કાંધલ જાડેજાએ સંબોધી હતી પત્રકાર પરિષદ
કાંધલ જાડેજાએ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કર્યા બાદ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં ગુજરાતના વિકાસ અને પોતાના મતવિસ્તારના વિકાસ માટે ચર્ચા થઈ હતી અને હજી વિકાસ કરવાની જરૂર છે.
4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.