રાજકોટમાં રેલવે ડિવિઝનલ એન્જિનિયરના ઘરે CBI દ્વારા રેડ કરવામાં આવી હતી. એન્જિનિયર વેદ પ્રકાશ શ્રીવાસ્તવની અટકાયત કરી ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતાં. CBIની ટીમે રેલવેના અધિકારીના નિવાસ સ્થાનેથી લોકર જપ્ત કર્યું હતું. એન્જિનિયર વેદ પ્રકાશની થોડા સમય પહેલા જ રાજકોટ બદલી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે CBIના અધિકારીઓ કોઇ ખાનગી વાહનમાં આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળેલ. CBI દ્વારા આ કામગીરી રેલવેના ઉચ્ચ અધિકારીના કોઠી કંપાઉન્ડ ખાતે આવેલ સત્તાવાર બંગલો નં. ૨૫ પર પાડવામાં આવી હતી. જો કે આ રેડ ક્યાં કારણોસર પાડવામાં આવી તે કારણ જાણવા મળી શક્યું નથી. જો કે નજીકના કોઇ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ ઘટનાને પગલે રાજકોટ રેલવે ડિવિઝન સહિત રાજ્યના અન્ય રેલવે ડિવિઝનોમાં સોંપો પડી ગયો હતો. જો કે CBI દ્વારા પાડવામાં આવેલ આ દરોડની કામગીરીમાં રેલવે તંત્રના અધિકારી વેદ પ્રકાશ શ્રીવાસ્તવ પાસેથી કોઇ બેનામી સંપત્તિ કે કોઇ મોટું કૌભાંડ બહાર આવે છે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે.