રાજ્યસભાની 2 બેઠક માટે મતદાન યોજાયું છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણીમાં અમારા ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત છે. આ ચૂંટણીમાં BTPના છોટુ વસાવા અને NCPના કાંધલ જાડેજાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.
CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. જેના કારણે ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ભાજપને પોતાના તમામ ઉમેદવારો પર વિશ્વાસ છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, આ ચૂંટણીમાં BTPના છોટુ વસાવા અને NCPના કાંધલ જાડેજાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્યાર બાદ તેમણે બજેટ પર પ્રતિક્રિયા આપી છે કે, આ બજેટથી ભારતના વિકાસની ગતિ તેજ થશે.
બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમાએ જણાવ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે અને પરિણામ આવ્યા બાદ કોર્ટમાં અમે ન્યાયની માગણી કરીશું. તો ગૌરવ પંડ્યાએ પણ કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ આકરા મુડમાં છે. જે કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ વિરુદ્ધ મતદાન કરશે તેને ભોગવવાનો વારો આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામે કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપના જુગલજી ઠાકોર સામે કોંગ્રેસમાંથી ચંદ્રિકાબેન ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસના શૈલેષ પરમાર પાર્ટીના ઓથોરાઈઝ્ડ ઓબ્ઝર્વર રહેશે. અને મતદાન કરનાર ધારાસભ્યોએ શૈલેષ પરમારને બેલેટ બતાવવાનું રહેશે.