હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો
આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદનું થયું આગમન
આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મેઘમહેર જોવા મળશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ આવ્યો હતો. આ સાથે આજે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક હોવાથી આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે.
હવામાનની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ
અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે પોરબંદરમાં 2.5 ઈંચ જયારે સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. તો વળી બારડોલી, ક્વાંટ, હાંસોટ, કુતિયાણા, માણાવદરમાં પણ વરસાદ નોંધાયો છે. આ સાથે નખત્રાણા, મુંદ્રા, માળિયા, વાઘોડિયામાં પણ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે
રાજ્યમાં ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે. વિગતો મુજબ નર્મદા કેનાલમાં 1 હજાર 177 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈ હવે આજે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાશે. નોંધનીય છે કે, સાબરમતીમાંથી ફતેવાડી કેનાલમાં 1 હજાર 60 ક્યુસેક પાણી છોડાયું હતું. સાબરમતીમાં નર્મદાના નીર આવતા વાસણા બેરેજ ઓવરફ્લો થવાની તૈયારી છે. હાલ વાસણા બેરેજની સપાટી 134.50 મીટરે પહોંચી છે. જેને લઈ નીચાણવાળા વિસ્તાર પીરાણા, પાલડી, નવાગામ, સરોડા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હાલ ફતેવાડી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે.