સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 11 મે દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. જેમાં રાજકોટ, પોરબંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ થઈ શકે છે.
જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. તો છેલ્લા બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને આંશિક રાહત પણ મળી છે. જ્યારે ૧૧મી મેના રોજ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદ સહીત રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવે ફરીથી માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ટૂંકા સમયમાં ઉપરા ઉપરી બે માવઠા થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડયું છે ત્યારે હજુ ફરીથી વાતાવરણમાં પલટાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.