કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સુરક્ષામાં ખામી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવે આ અંગે ગૃહ મંત્રાલયને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની સુરક્ષામાં થયેલી ખામી વિશે વાત કરી છે. કોંગ્રેસનો દાવો છે કે, રાહુલની સુરક્ષાના મુદ્દે દિલ્હી પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
શું થયું હતું 24 ડિસેમ્બરે ?
કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે, 24 ડિસેમ્બરે યાત્રા દિલ્હી પહોંચી કે તરત જ રાહુલ ગાંધીની સુરક્ષામાં ઘણી વખત ભંગ થયો હતો અને દિલ્હી પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં અને તેમની આસપાસ સુરક્ષા કોર્ડન જાળવવામાં નિષ્ફળ રહી હતી. રાહુલ ગાંધીને Z પ્લસ સુરક્ષા મળી છે. કેસી વેણુગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. ભારત યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરોને સુરક્ષા બંદોબસ્ત કરવો પડ્યો હતો.
Congress writes to Union Home Minister Amit Shah and requests him "to take immediate steps to ensure the safety and security of Rahul Gandhi and of all the Bharat Yatris and leaders joining Bharat Jodo Yatra" pic.twitter.com/tCsbyh9D6J
કેસી વેણુગોપાલે પત્રમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસ મૂક પ્રેક્ષક રહી અને ભીડને રોકવામાં નિષ્ફળ રહી. આ સિવાય જે લોકો રાહુલ ગાંધીને મળી રહ્યા છે તેમને ડરાવવા માટે ઈન્ટેલિજન્સ બ્યુરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. IB તેની સતત પૂછપરછ કરી રહી છે. કેસી વેણુગોપાલે યાદ અપાવ્યું કે, કલમ 19 હેઠળ કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ વિરોધ કરી શકે છે અથવા મુસાફરી કરી શકે છે અથવા પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યાને ટાંકીને કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેના બે નેતાઓ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં તેઓ માંગ કરે છે કે, રાહુલ ગાંધીની સુરક્ષા સાથે કોઈ રાજકારણ ન રમવું જોઈએ.