વલસાડ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાનારી કોંગ્રેસની જનાક્રોશ સભાને સંબોધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીની આ પ્રથમ સભાને સફળ બનાવવા માટે આખું પ્રદેશ કોંગ્રેસ લાગી ગયું છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખુદ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે અને આયોજન કરી રહ્યા છે. મહત્વનું છે કે આ સભામાં દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત જિલ્લાની લોકસભા બેઠકના કાર્યકર્તાઓ અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.
ત્યારે સભાને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓનો કાફલો ખડકી દીધો છે. તો રાહુલ ગાંધીની સભાને કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક સભા ગણાવવામાં આવી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ આ વિસ્તારમાં ભાજપ માટે સભા સંબોધવાના છે જોકે અમિત ચાવડાનું કહેવું છે કે ફડનવીસની સભાથી કોંગ્રેસને કઈ ફર્ક નહી પડે.
ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ અમારું ઘર ભાજપનું ઘર અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પોતાના ઘર પર ભાજપ નો ધ્વજ લગાવી અભિયાનની શરૂઆત કરી છે.
તો આ અંગે પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું કે ભાજપ એ લોકોના કામ નથી કર્યા એટલા માટે લોકો વચ્ચે જઈ શકતી નથી એના કારણે જ અવનવા કાર્યક્રમો આપી માહોલ બનાવવાનો પ્રયાસ કરવા માં આવી રહ્યો હોવાની પ્રતિક્રિયા આપી હતી.