કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક નિવેદન આપીને મહારાષ્ટ્રમાં બનેલી ગઠબંધન સરકારની બંન્ને પાર્ટીઓ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને અસમંજસ ઉભી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને પાર્ટીઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસ આપદા અને રાજ્ય સરકારની લૉકડાઉન એક્ઝિટ રણનીતિને લઇને કોઇ જ મતભેદ નથી.
આ નિવેદનના માધ્યમથી રાહુલે તેમની પાર્ટી અને રાજ્યમાં સત્તામાં ભાગીદારી 2 અન્ય પાર્ટીએ વચ્ચે બધુ જ યોગ્ય રીતે નહીં ચાલવાની અટકળોને વધુ મજબૂત કરી છે. રાહુલે મીડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં કહ્યું કે, હું અહીં સ્થિતિને કાંઇક અલગ રીતે રાખવા માગુ છું. મહારાષ્ટ્રમાં અમે સરકારનું સમર્થન કરી રહ્યા છીએ પરંતુ અમે મહારાષ્ટ્રમાં ડિસીઝન મેકર નથી. અમે પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન અને પોંડિચેરીમાં નિર્ણાયક છીએ. સરકાર ચલાવવી અને તેનું સમર્થન કરવામાં ફરક હોય છે.
મુંબઈ આર્થિક રાજધાની છે અને લોકોનું ધ્યાન તેના પર છે
આ મામલે રાહુલે એમ પણ કહ્યું કે, 'મેં ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે મહારાષ્ટ્ર એક મહત્વપૂર્ણ રાજ્ય છે. મુંબઈ આર્થિક રાજધાની છે અને લોકોનું ધ્યાન તેના પર છે. અહીં એક મુશ્કેલ પરિસ્થિતિ છે અને રાજ્ય પર બહું ધ્યાન આપવાની જરૂર છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન બાદ, મહાગઠબંધન અંગે પ્રશ્નો ઉભા થયા હતા અને અંતે થઇને જ રહ્યા. એનસીપી નેતા મજીદ મેનને આ મુદ્દે કહ્યું કે, આ કહેવું યોગ્ય નથી કે, કોંગ્રેસ નિર્ણય લેવાની પ્રક્રિયાનો હિસ્સો નથી. કોંગ્રેસ સભ્ય મંત્રીમંડળનો હિસ્સો છે. તેઓ બહારથી સમર્થન નથી આપી રહ્યા. તેઓ કેબિનેટમાં છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય પર હસ્તાક્ષર કરવામાં પણ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ છે.
ભાજપે રાહુલના નિવેદનને ઉછાળ્યું
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ આ નિવેદનને વિપક્ષી પાર્ટી ભાજપે તરત ઉછાળ્યું હતું. ભાજપ નેતા શાઇની એનસીએ કહ્યું, રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ આ નિવેદન મહારાષ્ટ્રના લોકોની સાથે ખરાબ મજાક સમાન છે. આવા સમયમાં જ્યારે માનવ જાતિ સંકટનો સામનો કરી રહી છે, સીએમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના લોકોના હિતમાં અસહયોગના આરોપનો જવાબ આપવો જોઇએ.
કોંગ્રેસ ઉતર્યું બચાવમાં
રાહુલની ટિપ્પણી બાદ કોંગ્રેસ બચાવમાં ઉતરતા કહ્યું કે, તેમના નેતાની ટિપ્પણીઓને સંદર્ભ અલગ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં મહારાષ્ટ્રની ગઠબંધ સરકારના ભવિષ્યને લઇને અટકળોનો દોર યથાવત છે. આ નિવેદનને એનસીપી નેતા શરદ પવારના શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે સોમવારે માતોશ્રી બંગલા ખાતે યોજાયેલી બેઠક સાથે જોડવામાં આવી છે, જો કે, આ ઘટનાના થોડા કલાક પહેલા શિવસેના અને શરદ પવાર વચ્ચે કોઇ મતભેદ નહીં હોવાની વાત કરી હતી.