કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે વધુ એક વાર ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં 300થી વધુ ખેડૂતોની મોત થઇ ચૂકી છે. આની સાથે જ તેમને ખેડૂત આંદોલનમાં શહીદ થનારાઓની શ્રદ્ધાંજલિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
शहीद हुए अन्नदाताओं के लिए मेरा 2 मिनट का मौन भाजपा को स्वीकार नहीं।
अपने किसान-मज़दूर भाइयों के बलिदान को मैं बार-बार श्रद्धांजलि दूँगा।
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શહીદ થયેલા અન્નદાતાઓની માટે મારું બે મિનિટનું મૌન ભાજપને સ્વીકાર નથી પરંતુ ખેડૂત-મજૂર ભાઈઓના બલિદાનને હું વારંવાર શ્રદ્ધાંજલિ આપતો રહીશ. જે મારા મૌનથી ડરે છે, હું તેમનાથી નથી ડરતો.
મહત્વનું છે કે ખેડૂતોની માંગણીઓને લઈને રાહુલ ગાંધી પહેલાથી જ અવાજ ઉઠાવી રહયા છે અને બુધવારે પણ ટ્વિટ કરીને તેમણે કહ્યું હતું કે ના તો ડરીશું, કે ના તો ઝૂકીશું, અત્યાચારનો સામનો સત્યાગ્રહથી કરીશું, અને ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરાવીને જ રહીશું.
દિલ્હી બોર્ડર પર ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન
નોંધનીય છે કે સરકારે પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગણીને લઈને દિલ્હીની બોર્ડર પર હજારો ખેડૂતો ત્રણ મહિનાથી પણ વધુ સમયથી આંદોલન કરી રહયા છે, મુખ્યત્વે તેઓ ટીકરી, સિંઘુ અને ગાજીપુર બોર્ડર પર આંદોલન કરી રહયા છે. બીજી બાજુ સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને સુધારણાની દિશામાં મોટું પગલું ગણાવીને કહ્યું છે કે આનાથી ખેડૂતોને ફાયદો થશે અને તેમની પાસે તેમના પાકને વેચવાના ઘણા વિકલ્પો હશે.