રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા મધ્ય પ્રદેશના એક સમયના દિગ્ગજ કોંગ્રેસ નેતા અને પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને કોમેન્ટ કરી છે.
રાહુલ ગાંધીએ આપ્યું મહત્વનું નિવેદન
જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે આપ્યું નિવેદન
સિંધિયાએ સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસ સરકાર ગબડાવી નાખી હતી
સિંધિયાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમને જેવુ મહત્વ કોંગ્રેસમાં મળતું હતું, તેટલું ભાજપમાં નથી મળી રહ્યું, સોમવારે યૂથ કોંગ્રેસની એક બેઠકમાં રાહુલ ગાંધીએ આ અંગેનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં ભલે ગયા પણ ત્યાં તેમનું કોઈ સન્માન નથી, અહીં હતા તો અમારી સાથે બેસતા હતા અને કોંગ્રેસમાં હોત તો આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ બની જાત, પણ ભાજપ કદી પણ તેમને આગળ નહીં જ કરે.
તેમની પાસે સંગઠનને મજબૂત કરવાનો વિકલ્પ હતો : રાહુલ ગાંધી
કોંગ્રેસની યૂથ વીંગની બેઠકમાં વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધી આજે કહ્યું હતું કે તેમની પાસે કોંગ્રેસ કાર્યકરોની સાથે રહીને સંગઠનને મજબૂત બનાવવાનો વિકલ્પ હતો, તે જ્યારે મારી પાસે આવ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું પણ હતું કે મહેનત કરતા રહો, તમે એક દિવસ મુખ્યમંત્રી જરૂરથી બનશો, પણ તેમણે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો અને ભાજપમાં જતા રહ્યા, અને આજે ત્યાં બેકબેન્ચર બનીને રહી ગયા છે.
રાહુલ ગાંધીએ વધુમાં દાવો કરતાં કહ્યું હતું કે તે લેખિતમાં આપી શકે છે કે ભાજપ ક્યારેય પણ તેમને મુખ્યમંત્રી નહીં જ બનવા દે, નોંધનીય છે કે ગત વર્ષે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના સમર્થક ધારાસભ્યો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ગબડાવી નાખી હતી, જેના પછી ભાજપની શિવરાજ સિંહના નેતૃત્વ વાળી સરકાર સત્તામાં આવી હતી.
બધા માટે અમારા દરવાજા ખુલ્લા છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ તો સમંદર છે, બધાના માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે, કોઈને પણ પાર્ટીમાં આવવાથી કોઈ પણ નહીં જ રોકે, અને જેને પણ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ નથી તેમને જવાથી પણ કોઈ નહીં રોકે, યુવા કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આરએસએસની વિચારધારાની સામે ડર્યા વગર લડવાનું છે. ભારતની સંસ્કૃતિ અને વિવિધતા પર કોઈ અવરોધ ન આવે તે માટે અહિંસાત્મક લડાઈ ચાલુ જ રાખવાની છે.