ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે ખેડૂતો સરકાર સામે બાંયો ચડાવીને સતત પોતાની માંગ પર અડગ છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આંદોલનના માધ્યમથી સતત સરકાર પર હુમલા કરી રહી છે. આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ભારત બંધના સમર્થનમાં દેશનાં ઘણા બધા નેતાઓ આવી ગયા છે ત્યારે ગાંધી પરિવાર પણ મોદી સરકાર પર હુમલાઓ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ આજે કહ્યું કે પીએમ મોદી ખેડૂતોની ચોરી બંધ કરે.
પીએમ મોદી પર તાક્યું નિશાન
રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંબોધિત કરતા કહ્યું કે મોદીજી, ખેડૂતોની ચોરી બંધ કરો. દેશવાસીઓ જાણે છે કે આજે ભારત બંધ છે. બંધનું સંપૂર્ણ સમર્થન કરીને આપણા અન્નદાતાના સંઘર્ષને સફળ બનાવો.
પ્રિયંકાએ પણ કર્યા પ્રહાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભારત બંધનું સમર્થન કરતા કહ્યું કે જે ખેડૂતો પોતાની મહેનતથી પાક અમારી થાળીઓમાં આપે છે તે ખેડૂતોને ભાજપ સરકાર પોતાના અબજપતિઓની થેલીમાં ભરવાના દબાણમાં ભટકી ગયેલા બોલી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે આ સંઘર્ષ થાળી ભરનારા અને અબજપતિઓની થેલી ભરનારા લોકો વચ્ચે છે. આવો આપણે ખેડૂતોનો સાથ આપીએ.
શું છે ખેડૂત આંદોલનની અપડેટ :
કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે. દિલ્હીથી લઇને બંગાળ અને યુપીથી કર્ણાટક સુધી ભારત બંધની અસર જોવા મળી રહી છે. ઘણા રાજકીય પક્ષો આ બંધના સમર્થનમાં છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સરકારે અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે.જો કે, પોલીસે આ દાવાને ખોટા ગણાવ્યા હતા. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આજે સાંજે અમિત શાહ ખેડૂતોને મળવાના છે.
32 વર્ષના ખેડૂતનું મોત
કૃષિ કાયદા સામે ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે અને ઠંડીમાં પણ આંદોલનકારી ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ છે. આ વચ્ચે મીડિયાની ખબરો અનુસાર એક ખેડૂતના મોતના સમાચાર મળી રહ્યાં છે. દિલ્હીમાં ખેડૂતોના આંદોલન દરમ્યાન સોનીપતની સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેડૂત આંદોલનમાં TDI સિટીની સામે ખેડૂતનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ખેડૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પરિવારજનોનો આક્ષેપ છે કે તેનું ઠંડીના કારણે મોત થયું
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક ખેડૂતનું નામ અજય છે અને તે 32 વર્ષનો છે. તે સોનીપતનાં બરોડાનો રહેવાસી છે. અજય એક એકર જમીનનો ખેડૂત હતો અને જમીન કરાર પર લઈ ખેતીકામ કરતો હતો. તેઓ ખેડૂત આંદોલનમાં પણ ભાગ લઈ રહ્યા હતા. રાત્રે જમ્યા પછી સુઈ ગયો અને સવારે ઉઠ્યો જ નહીં. પરિવારજનોનો આક્ષેપ છે કે તેનું ઠંડીના કારણે મોત થયું છે.
ગાઝિયાદબાદમાં ભીમ આર્મીના સમર્થકોનો વિરોધ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારત બંધ દરમિયાન ભીમ આર્મીના સમર્થકોને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ભીમ આર્મીના લોકો અહીં ખેડૂતો વચ્ચે યુપીના દરવાજે પહોંચ્યા હતા અને ધરણા પ્રદર્શનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ ખેડુતોએ તેમને હાંકી કાઢ્યા હતા. ખેડુતોનો આરોપ છે કે ભીમ આર્મીના સમર્થકો આંદોલનને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસે ભીમ આર્મીના સમર્થકોને લાઠી આપી પીછો કર્યો હતો.