ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર, રઘુરામ રાજને કોરોના વાયરસની અર્થતંત્ર પરની અસરને સમજાવવા અને ત્યારબાદ જરૂરી પગલા ભરવા ભારત સરકારને કેટલાક સૂચનો આપ્યા છે. રઘુરામ રાજને કહ્યું કે કોરોનાથી અર્થવ્યવસ્થાને કેટલો આંચકો લાગશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તે ખૂબ ગંભીર હશે.
કોરોનાનો આંતક ભારતીય અર્થવ્યવસ્થાને ભારે પડી રહ્યો છે. ચારે બાજુ લોકડાઉન હોવાને કારણે કારોબાર અટકી પડ્યો છે. ઘણી રેટિંગ એજન્સીઓએ તેમના વિકાસના અંદાજામાં ભારે ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર, રઘુરામ રાજને ભારત સરકારને અર્થતંત્ર પર કોરોના વાયરસની અસરને સમજવા અને તે પછી જરૂરી પગલાં લેવા કેટલાક સૂચનો આપ્યા છે.
કેવો આંચકો લાગી શકે છે
અર્થતંત્રને કોરોનાથી કેટલો આંચકો લાગશે, તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ તે ખૂબ ગંભીર હશે. રઘુરામ રાજન કહે છે કે, "અર્થતંત્ર પર આની કેટલી અસર પડશે તે હમણાં કહી શકાય નહીં." પરિસ્થિતિ કેટલા સમયમાં અંકુશમાં આવશે, GDPનું કેટલું નુકસાન થશે અને પછીથી કેટલી રીકવરી થશે તે અંગે કોઈ ચોક્કસ તારણ કાઢવું અત્યારે અઘરું છે.
મીડિયા સાથે વાત કરતા રઘુરામ રાજને કહ્યું કે, 'આ મુદ્દો ઘણા ખરા અંશે ચીન પર નિર્ભર છે. દરેક જણ ચીન તરફ જોઈ રહ્યું છે કે ત્યાં કોરોના ફરી દેખાશે કે નહીં. જો આવું ત્યાં ફરી થાય છે, તો નુકસાન ઘણું વધારે હશે. જો આવું થાય, તો આપણે રીસેશન એટલે મંદી તરફ ધસી જઈશું.
તેમણે કહ્યું, 'GDPને કેટલું નુકસાન થશે અને જો આપણે રાહતનાં પગલાં ભરીશું, તો તેમાં કેટલી રીકવરી થશે તે વિશે હજી કંઈ કહી શકાય નહીં.
તેમણે કહ્યું કે પ્રથમ ક્વાર્ટરમાં જ ચીનની GDPમાં લગભગ 10 ટકા ઘટાડો થયો છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં પણ તેને આટલું જ નુકસાન થઈ શકે છે.
હાલમાં, શિકાગો યુનિવર્સિટીમાં શિક્ષણ આપનારા રઘુરામ રાજને કહ્યું કે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં કોરોના વાયરસનો પ્રકોપ મોટો અવરોધ ઉભો કરી શકે છે. આ બધું કઈ દિશામાં જશે તે કહેવું ખૂબ જ વહેલું છે, પરંતુ વિશ્વ માટે આ એક મોટો પડકાર છે, જેના માટે દરેકે એક થવું પડશે.
વેન્ટિલેટર અને માસ્ક જેવા સંસાધનો ખરીદવા પર ભાર મુક્યો
રઘુરામ રાજને કહ્યું કે અર્થવ્યવસ્થાને બચાવવી જરૂરી છે, પરંતુ સરકારની પહેલી પ્રાથમિકતા ડોક્ટર માટે વેન્ટિલેટર, માસ્ક અને રક્ષણાત્મક સાધનો ખરીદવી જોઈએ.
તેમણે કહ્યું, 'આપણે આપણી પ્રાથમિકતા નક્કી કરવી પડશે. અમારે આપણા ડોકટર અને નર્સો માટે વેન્ટિલેટર, માસ્ક, રક્ષણાત્મક ઉપકરણો ખરીદવાનો આગ્રહ રાખવાની જરૂર છે જેથી તેઓ તેમનું કાર્ય કરી શકે. આ માટે આપણે આપણા તમામ સંસ્થાધનો પછી તે ખાનગી કે જાહેર ક્ષેત્રના કર્મચારી હોય, નિવૃત હોય, સેનામાં હોય તમામ લોકોએ તેમની શક્તિનો ઉપયોગ આપણા ડોકટર અને નર્સો માટે વેન્ટિલેટર, માસ્ક, રક્ષણાત્મક ઉપકરણો ખરીદવામાં લગાવી દેવી જોઈએ.
ગરીબોને પૈસા આપવા જોઈએ
રઘુરામ રાજને કહ્યું કે આ કટોકટીમાં બીજું સૌથી મહત્વનું કામ હોવું જોઈએ કે ગરીબોને એક નિશ્ચિત રકમ આપવામાં આવે જેથી તેઓ પોતાનું ભરણપોષણ કરી શકે. તેમણે કહ્યું, 'આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ થોડા સમય માટે આવેલો આંચકો કાયમીમાં ન ફેરવાય. આપણે એ કામદારોને નિયત રકમ આપવી જ પડશે કે જેમની પાસે આવકનું બીજો કોઈ સાધન નથી. '
તેમણે કહ્યું, 'આપણે તે સ્થિતિ અટકાવવી પડશે કે જેમાં કામદારો પાસે રોકડ, કમાણી ન હોય અને મોટા પાયે તેમને નોકરીથી છુટા કરીને તેમના મથકોને બંધ કરી દેવામાં આવે.'
તેમણે કહ્યું કે સરકારે આ બધી પરિસ્થિતિઓનો અંત આવ્યા પછી પણ લોકોની આવક જાળવવા પ્રયત્નો કરવા પડશે.
તેમણે કહ્યું, 'ગરીબોને આપણે કમાણીનો માર્ગ આપવો પડશે. આપણે યુનિટ્સને જીવંત રાખવા પડશે. મોટી કંપનીઓની જેમ, નાની કંપનીઓ પોતે કેવી રીતે ચાલુ રહી શકે તે જોવું પડશે.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોના દેશમાં અટકવાનું થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં અત્યાર સુધીમાં 1000થી વધુ કોરોનાના કેસ છે જેમાં 30થી વધુ લોકોના મોત થયા છે. કોરોનાને કારણે, 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે