ગુજરાતમાં કોરોના મહામારી ઓછું થવાની નામ નથી લઈ રહી ત્યારે હવે સરકાર લૉકડાઉન આપે કે ન આપે પણ પ્રજા જાતે જ સેલ્ફ લૉકડાઉન પાળી રહી છે. રાજ્યના ભરૂચ સહિત ઘણા જિલ્લામાં આ પહેલા પણ આ રીતનું લૉકડાઉન યોજાયું હતુ. ત્યારે હવે આજે 7 દિવસના જનતા લૉકડાઉન બાદ જનતા અને વેપારીઓ સાથે ચર્ચા કરી નડીયાદ નગરપાલિકા દ્વારા વધુ વધુ 10 દિવસના જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
નડીયાદ કોર્પોરેશન દ્વારા 10 દિવસનું જનતા લોકડાઉન
સવારે 8થી 12 વાગ્યા સુધી જ બજારો ખુલશે
બપોર બાદ શહેરમાં બજારો રહેશે બંધ
ઉલ્લેખનીય છે કે, અગાઉના લોકડાઉન દરમિયાન જ કોરોના પોઝિટિવ કેસોમાં અને મૃત્યુમાં વધારો થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. નડીયાદ નગરપાલિકા દ્વારા આજે 21 થી30 જુલાઈના દસ દિવસ માટે જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
લૉકડાઉનનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
આપને જણાવી દઇએ કે, આજે બીજા તબક્કામાં વધુ 10 દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં નડીયાદ શહેરના પાથરણા, લારીઓ અને દુકાનોને બંધ રાખવામાં આવશે. આ જનતા લોકડાઉનનો ભંગ કરનાર સામે પણ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડાકોર મંદિર કરાયું બંધ
ઉલ્લેખનીય છે કે, એક બાજુ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને બીજી બાજુ હિંદુઓમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે મંદિર પ્રસાશન દ્વારા મંદિરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 408 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી હાલ 242 દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 14 કોરોના દર્દીઓના મોત થયા છે. છેલ્લાં અઠવાડિયાની વાત કરીએ તો 135 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. આવામાં તહેવારની સીઝનમાં ડાકોર મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી શકે છે.
આપને જણાવી દઈએ કે, દર વર્ષે શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શન કરવા જાય છે, ત્યારે કોરોનાકાળમાં શ્રદ્ધાળુઓની સ્વાસ્થ્યની ચિંતા કરીને મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
20 થી 27 તારીખ સુધી મહેસાણા અને ઉંઝાના તમામ બજાર બંધ રહેશે
મહેસાણા અને ઊંઝામાં વેપારી એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસાણાના ઊંઝામાં તમામ બજાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 20 થી 27 તારીખ સુધી તમામ બજાર બંધ રાખવાની વેપારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે
કોરોનાના વધતા જતા કેસને બજારો બંધ રહેશે
કોરોનાના વધી રહેલા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.