વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC)ની સુવર્ણ જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ ફૂટબોલ મેચને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે
સરહદના ગામડાઓનો થઈ રહ્યો છે વિકાસ
બનાવવામાં આવી રહ્યા છે રસ્તાઓ-એર સ્ટ્રીપઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC)ની સુવર્ણ જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ એક સંયોગ છે કે જ્યારે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે ત્યારે હું ફૂટબોલના મેદાનમાં ફૂટબોલ ચાહકોને સંબોધિત કરી રહ્યો છું. એક તરફ વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને અમે ફૂટબોલ ગ્રાઉન્ડથી વિકાસના કાર્યોની શરૂઆત કરી રહ્યા છીએ. PM મોદીએ શિલોંગમાં એક જાહેર સમારંભમાં અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પછી તેઓ અગરતલા જશે અને લગભગ 3.45 વાગ્યે તેઓ વિવિધ મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પહેલાની વિચારસરણીને અમે બદલી છેઃ નરેન્દ્ર મોદી
વડાપ્રધાને કહ્યું કે, "લાંબા સમય સુધી દેશમાં એવી વિચારસરણી રહી છે કે બોર્ડર એરિયામાં વિકાસ થશે, કનેક્ટિવિટી વધશે તો દુશ્મનોને ફાયદો થશે. પહેલાની સરકારની આ વિચારસરણીને કારણે નોર્થ ઈસ્ટ સહિત દેશના તમામ સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારી શકાઈ નથી. જે સરહદી ગામડાઓ એક સમયે વેરાન હતા, અમે તેને વાઈબ્રન્ટ બનાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.''
ફૂટબોલની મેચ કતારમાં છે, પરંતુ મેઘાલયમાં પણ ઉત્સાહ ઓછો નથીઃ PM
પીએમ મોદીએ કહ્યું, 'કતારમાં ફૂટબોલ મેચ રમાઈ રહી છે, પરંતુ મેઘાલયમાં પણ ઉત્સાહ ઓછો નથી. ફૂટબોલમાં જો કોઈ રમતની ભાવના વિરુદ્ધ કામ કરે છે તો તેને રેડ કાર્ડ બતાવીને બહાર કરી દેવામાં આવે છે. એવી જ રીતે છેલ્લા 8 વર્ષોમાં અમે નોર્થ ઈસ્ટના વિકાસ સાથે જોડાયેલા ઘણા અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે. અમે ભ્રષ્ટાચાર, ભેદભાવ, ભાઈ-ભત્રીજાવાદ, હિંસા, પ્રોજેક્ટને લટકાવવો-ભટકાવવો, વોટ બેંકની રાજનીતિને બહાર કરવા માટે અમે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છીએ.
એક નવા અભિગમ સાથે આગળ વધી રહી છે કેન્દ્ર સરકારઃ PM મોદી
PM મોદીએ કહ્યું, 'સ્પોર્ટ્સને લઈને કેન્દ્ર સરકાર આજકાલ એક નવા અભિગમ સાથે આગળ વધી રહી છે. તેનો લાભ નોર્થ ઈસ્ટ અને તેના યુવાનોને થયો છે. દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોર્થ ઈસ્ટમાં છે. હું મેઘાલયને કનેક્ટિવિટી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર યોજનાઓ માટે અભિનંદન આપું છું જે રાજ્યને સમર્પિત કરવામાં આવી રહી છે.'
'અમે નોર્થ ઈસ્ટમાં વિકાસનો કોરિડોર બનાવવા પર ભાર મૂક્યો'
તેમણે કહ્યું, "ડિજિટલ કનેક્ટિવિટીથી માત્ર વાતચીત, સંવાદ જ નથી સુધરતો, પરંતુ તેનાથી ટૂરિઝમથી લઈને ટેક્નોલોજી સુધી, શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સુધી, દરેક ક્ષેત્રમાં સુવિધાઓ વધે છે, અવસર વધે છે.'' PM મોદીએ કહ્યું કે, લાંબા સમયથી જે પક્ષોની સરકારો હતી, તેમની નોર્થ ઈસ્ટ માટે ડિવાઈડની વિચારસણી હતી અને અમે ડિવાઈનનો વિચાર લઈને આવ્યા છીએ. અલગ-અલગ સમુદાયો હોય કે અલગ-અલગ વિસ્તાર, અમે દરેક ડિવિઝનને દૂર કરી રહ્યા છીએ. આજે અમે નોર્થ ઈસ્ટમાં વિવાદોની બોર્ડર નહીં પરંતુ વિકાસનો કોરિડોર બનાવવા પર ભાર મૂકી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષોમાં અનેક સંગઠનોએ હિંસાનો માર્ગ છોડી સ્થાયી શાંતિનો માર્ગ અપનાવ્યો છે.