જયદેવ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ કર્ણાટકને સૌથી મોટી ભેટ પણ આપશે. તેઓ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસ વે 8480 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તે 118 કિલોમીટર લાંબો છે. આ સાથે જ બેંગલુરુ-મૈસુર વચ્ચેની મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટીને માત્ર 75 મિનિટ થઈ જશે.
કર્ણાટકમાં આ વર્ષે યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી
PMO અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે 12 વાગ્યે માંડ્યામાં મોટા રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી લગભગ 3.15 વાગ્યે તેઓ હુબલી-ધારવાડમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ વર્ષે પીએમ મોદીનો કર્ણાટકનો આ છઠ્ઠો પ્રવાસ છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
એક્સપ્રેસ વે પર 4 રેલ ઓવરબ્રિજ અને 9 બ્રિજ
PMOએ માહિતી આપી છે કે, આ 118 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેના નિર્માણમાં ચાર રેલ ઓવરબ્રિજ, 9 બ્રિજ, 40 નાના પુલ અને 89 અંડરપાસ છે.
92 કિમી લાંબા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે
પીએમ મોદીએ પ્રોજેક્ટ વિશે કહ્યું કે આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્લાનિંગ છે. જે કર્ણાટકના વિકાસ પથમાં યોગદાન આપશે. વડાપ્રધાન મોદી મૈસુર-ખુશાલનગર ફોર લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરશે. લગભગ 4,130 કરોડ રૂપિયાના ખર્ચે 92 કિલોમીટર લાંબો રોડ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનું પણ થશે ઉદ્ધાટન
આ પ્રોજેક્ટ બેંગલુરુ સાથે કુશલનગરની કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને મુસાફરીનો સમય લગભગ 5 કલાકથી ઘટીને માત્ર 2.5 કલાક સુધી ઘટાડવામાં મદદ કરશે. હુબલી-ધારવાડમાં વડાપ્રધાન IIT ધારવાડને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સંસ્થાનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2019માં કર્યો હતો. તેને 850 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સિદ્ધરુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ રેકોર્ડને તાજેતરમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી છે. આશરે રૂ. 20 કરોડના ખર્ચે 1,507 મીટર લાંબું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
હોસાપેટે સ્ટેશનના અપગ્રેડેશનને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે
વડાપ્રધાન રેલવે નેટવર્કના હોસાપેટે-હુબલી-ટીનાઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને પ્રદેશમાં કનેક્ટિવિટીને વધારવા માટે હોસાપેટે સ્ટેશનના અપગ્રેડેશનને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેને 530 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. પુનઃવિકાસિત હોસાપેટે સ્ટેશન મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. તેની ડિઝાઇન હમ્પીના સ્મારકો જેવી જ કરવામાં આવી છે.
250 કરોડના ખર્ચે બનાવવામાં આવશે હોસ્પિટલ
વડાપ્રધાન મોદી હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત આશરે રૂ.520 કરોડ છે. વડાપ્રધાન મોદી જયદેવ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરશે. આ હોસ્પિટલ લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે ઉભી કરાશે.