16મી લોકસભાના છેલ્લા સત્રના અંતિમ દિવસે લોકસભામાં મુલાયમસિંહના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. જે હંમેશા મોદી સરકાર વિરુદ્ધ પ્રહારો કરતા હતા તે જ મુલાયમસિંહે મોદી સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે મોદી ફરીથી વડાપ્રધાન બને.
જોકે ત્યાર બાદ ભાજપના નેતાઓ દ્વારા મુલાયમસિંહના આ નિવેદનને લઇને ઉત્સાહમાં જોવા મળ્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશમાં તો ભાજપ કાર્યકરોએ મુલાયમસિંહનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે તમે લોકસભામાં 125 કરોડ દેશવાસીઓના મનની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સંસદના અંતિમ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા બીજી વખત વડાપ્રધાન બને તેવી શુભકામના પર જ્યાં ભાજપના નેતાઓએ સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવનો ધન્યવાદ વ્યકત કર્યો છે ત્યારે બીજી તરફ સપામાં આ નિવેદનને લઇને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
જ્યારે યુપીમાં લખનઉમાં ભાજપ દ્વારા ધન્યવાદ કરતા પોસ્ટર લગાવામાં આવ્યાં છે. ભાજપના અલ્પસંખ્યક મોરચાના નેતા તાહિર હુસેને પોસ્ટર લગાવ્યા હતા જેમાં મુલાયમ સિંહનો આભાર માન્યો છે.
જ્યારે બીજી તરફ સપાના વરિષ્ઠ નેતા અને યુપી પૂર્વ સરકારના મંત્રી આજમ ખાએ મુલાયમ સિંહના આ નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે.