ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા સર્જાવાની છે. ત્યારે અત્યારથી જામનગર શહેરમાં પાણીની બૂમો પડી રહી છે. શહેરમાં પાણી પુરા પડતા તમામ ડેમો ખાલી થઇ રહ્યા છે. ત્યારે જીવાદોરી સમાન સસોઈડેમ પર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભવિષ્યની પાણીની કટોકટીને નિવારવા માટે આ એક સ્ત્રોત છે. સસોઈ ડેમમાં બચેલા જથ્થાની ચોરો અટકાવવા માટે તંત્રએ નવતર પ્રયોગ કર્યો છે. પાણીની રખેવાણી કરવા માટે જવાનો તૈનાત કર્યા છે.
જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સસોઈ ડેમ
જામનગરથી ૧૨ કિલોમીટર દુર આવેલા આ ડેમમાં આ વર્ષે અપૂરતા વરસાદના કારણે ડેમ છલકાયો નથી. પરંતુ અન્ય ડેમની સરખામણીમાં સસોઈ ડેમમાં પાણીનો જથ્થો વધારે છે. ૫૬૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ ડેમ લગભગ ૩૮ ઘનમીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. ૫૯ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ ડેમ જામનગરના ૧૧ અને લાલપુર તાલુકાના ત્રણ ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડે છે. આ વરસે ઓછા વરસાદના કારણે સસોઈ ડેમ આખો ભરાયો નથી. ત્યારે જે કંઈ જથ્થો છે તે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ડેમમાંથી જામનગર શહેરને પાણી પૂરૂ પાડવામાં આવે છે. તંત્ર હવે માત્ર સસોઇ અને ઊંડ ડેમ પર ધ્યાન કેન્દ્રિત કરી બેઠું છે. આજુબાજુના ગામડાંઓના ખેડૂતોએ સિંચાઈની આશાએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ ડેમનું પાણી પીવા માટે આપવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. જેના કારણે સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી. જેના કારણે લોકો પોતાના પાકને બચાવવા માટે પાણીની ઉઠાંતરી કરી રહ્યા છે. જેને રોકવા માટે તંત્રએ હથિયારધારી જવાનોને પાણીનો પહેરો કરવાનો સોંપ્યો છે.
સિંચાઈ માટે અન્ય સોર્સ ખૂટી જતા હવે ખેડૂતોને સસોઈ ડેમની આસ
જામનગરના નાગરીકોને પીવાનું પાણી મળી રહે તે હેતુંથી સિંચાઈ વિભાગે સસોઈ ડેમનું પાણી અનામત કર્યું છે. પરંતુ સિંચાઈ માટે અન્ય સોર્સ ખૂટી જતા હવે ખેડૂતો સસોઈ ડેમ તરફ વળ્યા હતા. ખેડૂતોને પાણી ચોરી કરતા અટકાવવા તંત્રએ આયોજન ઘડી કાઢ્યું છે. તંત્રએ આ તમામ ડેમો પર હથિયારધારી જવાનો ખડેપગ કર્યા છે. ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ પહેરો દોઢ મહિનો ચાલુ રાખવામાં આવશે. જેના કારણે પાણીની ચોરી અટકાવીને શહેર અને ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે.