સુરતના વેસુ પ્રાથમિક સેન્ટર પર વેક્સિન લેવા પહોંચેલા લોકો પર પોલીસનું દમન, અધિકારીઓ દ્વારા તેમના સંબંધીઓને વેક્સિન આપવાના આક્ષેપ મુદ્દે પોલીસે જનતાને જ માર માર્યો હતો
સુરતમાં વેક્સિનેશન સેન્ટર પર બબાલ
વેક્સિન લેવા આવેલા લોકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ
સુરતના વેસુ વેક્સિનેશન સેન્ટર પર બબાલ
સુરતમાં વેક્સિન લેવા ગયેલા સિનિયર સિટિઝન પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. લોકોની મદદ કરવાના સ્થાને સુરત પોલીસનો નિર્મમ ચહેરો સામે આવ્યો છે. માત્ર 80 લોકોને રસી આપવામાં સગા વ્હાલાને રસી આપી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે મુદ્દે સિનિયર સિટિઝને વાંધો ઉઠાવતા વેક્સિન સેન્ટરમાંથી પોલીસ નાગરિકો બહાર લઈ આવી હતી.
ગુજરાતમાં એક તરફ ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત વચ્ચે લોકો રસીના આધારે પોતાને સુરક્ષિત બનાવવા માગે છે. ત્યારે સુરતમાં રસી લેવા જતા લોકોને પોલીસનો કાળો ચહેરો જોવો પડ્યો છે. રસીકરણ કરતા અધિકારીઓ પર લોકો ગુસ્સે થયા હતા. જેને લઈ પોલીસે કોઈ કાર્યવાહી કરવાના બદલે ઉલટાનું લોકો પર લાઠીચાર્જ કરી દીધો હતો. અધિકારીઓની મદદ માટે પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટિઝન પર દમન કર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 123 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8035 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 13,021 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,90,412 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3884 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1039 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 388 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 638 કેસ, જ્યારે ગ્રામ્યમાં 380 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 526 કેસ અને ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...