ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપનો પ્રચાર તેજ થઇ ગયો છે. ત્યારે ફરીવાર PM મોદી આજે અને આવતીકાલે એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે.
PM મોદી ફરીવાર ગુજરાતના પ્રવાસે
આજ રોજ અમદાવાદ આવશે અને આવતીકાલે વડોદરા જશે
21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
PM નરેન્દ્ર મોદી ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર ફરીવાર આજ રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ PM મોદી ગુજરાતમાં રોકાશે. ત્યારે આજ રોજ સાંજના 7:30 વાગ્યે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. PM મોદી 21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
PM Modi to inaugurate and lay foundation stone of development projects worth Rs 21,000 cr in Gujarat
જુઓ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન મોદી આજ સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાર બાદ રાજભવન ખાતે પહોંચશે અને ત્યાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે સવારના એટલે કે 18 જૂનના રોજ તેઓ પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મહાકાળી માના મંદિરે જશે. જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે.
પાવાગઢથી PM મોદી વડોદરા જશે. જ્યાં એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી 4 કિલોમીટરનો રોડ શો કરશે.
લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન 5 લાખ લોકોની જંગી સભાને સંબોધિત કરશે.
વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે.
21 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
PM આવાસ યોજના હેઠળ 1.4 લાખથી વધુ ઘરોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ - બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.
વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યુ કે આગામી તા.૧૭ અને ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન પ્રધાનમંત્રી તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારના રોજ સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ ૧૧.૩૦ કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે.આ અવસરે પ્રધાનમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષના વિકાસનું આયોજન
વધુમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જણાવી પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડના ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.
PM મોદીની સુરક્ષા માટે પોલીસ કાફલો ખડેપગે સજ્જ રહેશે
તમને જણાવી દઇએ કે, PM મોદી પાવાગઢની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમમા સામેલ થવાના છે ત્યારે તેઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત નિરિક્ષણ કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓએ તૈયારીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાના બંદોબસ્તમાં 20 IPS કક્ષાના અધિકારી, 15 DCP, 40 ACP, 100 PI, 200 PSI અને 2000 પોલીસકર્મીઓ અને 2000 મહિલા પોલીસકર્મી ઉપસ્થિત રહેશે. તદુપરાંત 10 BDDS, SRPની પાંચ કંપની અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો, NSG તથા ચેતક કમાન્ડોની ટીમ, સ્થાનિક SOG અને PCB DCBની ટીમ ખડેપગે તૈનાત રહેશે. 30 રૂટ પર લાગેલા CCTV કેમેરા થકી રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરાશે. એ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 8 ટીમો પણ સમગ્ર સભા મંડપમાં તૈનાત રહેશે.