આજે મોદી કેબિનેટમાં બજેટ પહેલા મોટા નિર્ણય લેવાઈ શકે છે જ્યારે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર કોરોના ગાઈડલાઇન પર નિર્ણય લેશે.
દેશમાં ત્રીજી લહેર વચ્ચે પ્રજાસત્તાક દિવસ અને બજેટ
દિલ્હી અને ગાંધીનગરમાં બેઠકોનો દોર
આજે ગુજરાતમાં કોરોના ગાઈડલાઇન પર નિર્ણય સંભવ
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં બજેટ આવવાનું છે અને બીજી તરફ ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને ગાંધીનગરમાં cm પટેલ મહત્વપૂર્ણ મીટીંગો કરવા જઈ રહ્યા છે.
PM મોદીની કેબિનેટ બેઠક
દિલ્હીમાં પ્રધાનમંત્રી આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક કરશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં યોજનાઓને લઈને કોઈ મોટા નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય આગામી સમયમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને પરેડને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકાર પોતાનું બજેટ દેશ સામે મૂકવાની છે ત્યારે આ પહેલા આજે બજેટને લઈને પણ સરકારના મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે.
સાંજે 4 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
બીજી તરફ આજે ગાંધીનગરમાં પણ કેબિનેટની બેઠક છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાંજે ચાર વાગે તમામ કેબિનેટ મંત્રીઓ સાથે મીટિંગ થવાની છે જેમાં રાજ્યમાં નવી કોરોના ગાઈડલાઇન અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવ જિલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધાની માહિતી સીએમ સામે રજૂ કરશે અને તે બાબતના આધારે જ નિર્ણય લેવામાં આવશે.